![]()
વડોદરા કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગમાં રૂ. 3.17 કરોડથી વધુના સાધનોની ખરીદીમાં ગેરરીતિઓ સામે આવતા મ્યુ. કમિશ્નરે ડો. દેવેશ પટેલ સહિત ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. દરમ્યાન હવે વિપક્ષે ડૉ. દેવેશ પટેલ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે તટસ્થ તપાસની માંગ કરી હતી.
વિપક્ષ નેતાની મ્યુ. કમિશનરને રજૂઆત હતી કે, ડૉ. દેવેશ પટેલ સામે અગાઉ સુરત નજીક વલણ ગામ ખાતે ચીટીંગની ફરિયાદ નોંધાઈ હોવા છતાં ડૉ .દેવેશ પટેલને કાયમી કરવામાં આવ્યા હતા. દશ વર્ષથી આરોગ્ય વિભાગમાં કામ કરતી બહેનોને કાયમી કરવાના સ્થાને હાંકી કાઢી નવેસરથી ભરતી પ્રક્રિયા હાથ ધરી ભ્રષ્ટાચાર આચાર્યો હતો. કોરોનાના સમયમાં ચાર – પાંચ બેડ ધરાવતા દવાખાનાઓને પણ દર્દીઓ રાખવાની મંજૂરી આપી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ફાઈલોની તપાસ ન થાય તે માટે ડૉ .દેવેશ પટેલનો જમણો હાથ ગણાતા મીનાક્ષીબેન પટેલ રાજીનામું આપવાની ફિરાકમાં છે. જેથી મીનાક્ષીબેન પાસેથી તમામ ફાઈલો કબ્જે લેવી જોઈએ. તત્કાલીન અધિકારી ડૉ .પ્રતિભા પટેલ દ્વારા આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચાર અંગે અનેક વખત મ્યુ. કમિશનર અને સરકારને રજૂઆત કરવામાં આવી હતી. સ્મશાનોમાં અંતિમ ક્રિયા રૂ. 3થી 4 હજારમાં થતી હતી તેના બદલે રૂ. 7 હજાર કરવું તે ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે. જેથી વિજિલન્સ તપાસ કરાવી કોર્પોરેશનને નુકસાન થતું હોય તો તે આરોગ્ય અમલદાર પાસેથી વસૂલવામાં આવે. 8 હેલ્થ સેન્ટર બનાવવાનું નક્કી કર્યા બાદ માંડ 4 બન્યા છે. પરંતુ ભરતી પ્રક્રિયામાં તમામ તબીબ તેમજ અન્ય સ્ટાફની ભરતી કરી હેલ્થ સેન્ટર ન હોવા છતાં ખર્ચો પાડવામાં આવી રહ્યો છે. કેટલાક તબીબો પ્રાઇવેટ ક્લિનિક ચલાવી રહ્યા છે. આવા તબીબો સામે સીઆઇડી ક્રાઈમ અને વિજિલન્સ દ્વારા તપાસ કરાવી કડક પગલાં ભરવા જોઈએ.










