![]()
હાઇવે ઉપર ઇન્ડિકેટર વગર ઊભી રહેતી ટ્રકો જોખમી
પંચમહાલનો પરિવાર માણસાથી દીકરીને લઈ પરત જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માતની ઘટના ઃ પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે
ત્યારે ગઈકાલે મોડી રાત્રે ચિલોડા પાસે ઇન્ડિકેટર વગર રોડ ઉપર ઉભી રહેલી ટ્રકની
પાછળ કાર ઘુસી જતા તેમાં સવાર એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અન્ય ચાર
વ્યક્તિઓને ઇજાઓ તથા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે મામલે ચિલોડા પોલીસ
દ્વારા ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરાયો છે.
ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતા હાઇવે માર્ગો ઉપર રાત્રિના
સમયે કોઈ પણ પ્રકારના ઇન્ડિકેટર વગર ઊભી રહી જતી ટ્રકોને કારણે અકસ્માતની ઘટનાઓ
વધી છે ત્યારે ગઈકાલે રાત્રે પણ ચિલોડા પાસે રોડ ઉપર ઉભી રહેલી એક ટ્રક પાછળ કાર
ઘુસી જતા એક વ્યક્તિનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી
વિગતો પ્રમાણે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામના જશવંતસિંહ
ફૂલસિંહ સોલંકી તેમના ગામના મહોબતસિંહ ગેહારસિંહ સોલંકીની પુત્રી માણસાના વડુ ગામે
રહેતી વર્ષાબાને લેવા માટે આવ્યા હતા. આ કારમાં જશવંતસિંહની સાથે મહોબતસિંહ તેમજ
પ્રદિપસિંહ અને દિગ્વિજયસિંહ હતા. વડુ ગામેથી તેઓ વર્ષાબાને લઈને પરત પંચમહાલ જવા
માટે નીકળ્યા હતા. આ દરમિયાન ગાંધીનગર નજીક ચિલોડા પાસે રોડ ઉપર એક ટ્રક કોઈપણ
પ્રકારના ઇન્ડિકેટર વગર ઊભી હતી અને ચાલક જશવંતસિંહને આ ટ્રક નહીં દેખાતા તેની
પાછળ તેમની કાર ઘૂસી ગઈ હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો અને કારમાં સવાર
તમામ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. જેના પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને
૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં આ તમામને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ
ખસેડવામાં આવ્યા હતા. જ્યાં શરીરે ગંભીર ઇજાઓને કારણે મહોબ્બતસિંહ સોલંકીનું મોત
થયું હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ ઘટના અંગે હાલ ચિલોડા પોલીસ દ્વારા ટ્રકના
ચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.










