![]()
૨૭૫ ગામમાં ગ્રામસેવક,
તલાટી અને વીસીએની ટીમે ધામા નાંખ્યા
ડાંગર-મગફળીના પાક લણણી કરીને ખેતરમાં રાખ્યા ત્યાં માવઠાનો માર પડયો ઃ ૯૧ ટીમોએ રજાના દિવસે પણ ૧૬૨ ગામના ખેતરોમાં સર્વે કર્યો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં ૨૯ ઓક્ટોબરે તમામ તાલુકાઓમાં વરસાદને
કારણે ડાંગર, મગફળી, કપાસ, મગ, મઠ, અડદ અને અન્ય
પાકોમાં નુકસાન થયું છે. ખેતીવાડી ખાતાએ ૯૧ ટીમો રચી પ્રાથમિક સર્વે હાથ ધર્યોે
હતો, જેમાં
૨૭૫ ગામોમાં ૨૦ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં નુકસાનનો અંદાજ મળ્યો. હવે વિગતવાર
સર્વે માટે રજાના દિવસોમાં પણ કામગીરી ચાલુ છે. જેથી ખેડૂતોને વહેલી તકે વળતર મળી
શકે.૧૬૨ ગામોમાં વિગતવાર સર્વે પૂર્ણ કરાયો છે જ્યારે ૧૧૩ જેટલા ગામોમાં સર્વે
બાકી છે જે પૂર્ણ કરવા કલેક્ટરે ઝડપ લાવવા સુચના આપી છે.
ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના ૨૭૫ ગામોમાં નુકસાનની
પ્રાથમિક સર્વેમાં જણાઇ હતી.જેમાં અંદાજીત ૨૦ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગર
અને મગફળી જેવા પાકોની લણણી પછી ખેતરમાં સુકવણી માટે રાખેલા અનાજને વ્યાપક નુકસાન
થયું છે. ઉભા પાકો જેવા કે કપાસ,
અડદ, મઠ અને
ગુવારમાં પણ નુકસાનનો અંદાજ છે.જિલ્લામાં નુકશાનીના સર્વેની કામગીરી કરતી ગ્રામ સેવક, વીસીઇ અને તલાટીઓની ૯૧ ટીમો દ્વારા તા.૧ અને ૨ નવેમ્બરે ખેડૂતોના ખેતરોમાં
જઈ વિગતવાર સર્વે કરવામાં આવ્યો છે. બે દિવસમાં ૧૬૨ ગામોમાં આ કામગીરી પૂર્ણ થઈ
છે. ખાસ કરીને લણણી પછીના પાકોમાં પાણી ભરાવાથી અનાજની ગુણવત્તા બગડી છે, જેનાથી ખેડૂતોને
આથક નુકસાન વેઠવું પડયું છે.
સર્વે ટીમોએ દરેક
ખેતરની માપણી કરી નુકસાનનો અહેવાલ તૈયાર કર્યો છે.ખેડૂતોને તાત્કાલિક રાહત મળે તે
માટે સર્વે કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. રજાના દિવસોમાં પણ ટીમો સતત કાર્યરત
છે, જેથી
બાકીના ૧૧૩ ગામોનો સર્વે ટૂંક સમયમાં પૂર્ણ થાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા
સર્વેમાં ઝડપ લાવવા અને કઇ પણ ખેતર કે ખેડૂત સર્વેમાં બાકી ન રહી જાય તે માટે
સુચના આપી છે.
જિલ્લા ખેતીવાડી અધિકારીઓના જણાવ્યા મુજબ, સંપૂર્ણ રિપોર્ટ
સર્વે બાદ તમામ તાલુકા-ગામોની માહિતીનું સંકલન કર્યા બાદ બનાવવામાં આવશે જે બાદમાં
સરકારને સુપ્રત કરી વળતર પ્રક્રિયા શરૃ કરવામાં આવશે.
કપાસ,
અડદ, મઠ અને
ગુવાર સહિતના ઉભા પાકમાં પણ વ્યાપક નુકસાનઃસર્વે
ગાંધીનગર જિલ્લામાં ચોમાસા દરમ્યાન એક લાખ હેક્ટરથી વધુ
વિસ્તારમાં વિવિધ પાક લેવામાં આવે છે ત્યારે કારતક મહિનામાં જ્યારે ડાંગર અને
મગફળીનો પાક મોટાભાગના ખેડૂતોએ લણી લીધો હતો અને આ પાક ખેતરમાં પડયો હતો તે
દરમ્યાન કમોસમી વરસાદ પડયો હતો અને ખેતરમાં પડેલો પાક પલળી ગયો હતો. ખેડૂતોના મોં
સુધી આવેલો કોળીયો છિનવાઇ ગયો છે ત્યારે જિલ્લાના ખેતરોમાં દિવાળી બાદના આ
દિવસોમાં કપાસ, અડદ, મઠ અને ગુવાર
સહિતનો પાક ઉભો હોય છે આ પાક તેના આખરી તબક્કામાં હોય છે અને ખેડૂતો તેને લણવાની
તૈયારી કરતા હતા ત્યારે જ સતત ચાર દિવસ સુધી વરસાદ પડતા તેમાં પણ ભારે નુકશાન થયું
હોવાનું પ્રાથમિક સર્વેમાં સામે આવ્યું છે.










