![]()
Mamata Banerjee Claims BJP Central Govt Will Fall Soon : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સુપ્રિમો મમતા બેનર્જીએ કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. ચૂંટણી પછીની કથિત હિંસા વિરુદ્ધ મમતા બેનર્જી પોતે વકીલના ડ્રેસમાં કોર્ટ પહોંચ્યા હતા.
ભાજપ સામે લડાઈ ચાલુ રાખવાની મમતાની જાહેરાત
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં ભારતીય જનતા પાર્ટી (BJP) સામે 207 બેઠકો સામે માત્ર 80 બેઠકો પર સિમિત થઈને સત્તા ગુમાવ્યા બાદ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડા મમતા બેનર્જીએ ભાજપ પર જોરદાર રાજકીય પ્રહાર કર્યો છે. 19 મે ના રોજ કાલીઘાટ સ્થિત પોતાના નિવાસસ્થાને પક્ષના ધારાસભ્યોની બેઠકને સંબોધતા પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે, “આવનારા દિવસોમાં ભાજપ સરકારને દિલ્હી (કેન્દ્ર) ની સત્તા પરથી પણ હટાવી દેવામાં આવશે.” તેમણે ઉમેર્યું કે બંગાળમાં ભલે ટીએમસીનું 15 વર્ષનું શાસન ખતમ થયું હોય, પરંતુ ભાજપ સામે તેમની લડાઈ અટકશે નહીં.
કોલકાતામાં મોટા જન-આંદોલનની જાહેરાત
મમતા બેનર્જીએ વર્તમાન શુભેન્દુ અધિકારી સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ચૂંટણી પરિણામો બાદ રાજ્યમાં લઘુમતી સમુદાયો અને રસ્તા કિનારે દુકાન લગાવતા ગરીબ હોકર્સને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ચૂંટણી પછીની હિંસાના નામે હોકર્સની દુકાનો પર ‘બુલડોઝર’ ચલાવવામાં આવી રહ્યા છે. આ ‘બુલડોઝર સંસ્કૃતિ’ અને તાનાશાહી વિરુદ્ધ ટીએમસી દ્વારા 21 મે 2026 થી કોલકાતાના બstatusલીગંજ, હાવડા જંક્શન અને સિયાલદહ રેલવે સ્ટેશનની આસપાસ મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવશે. ટીએમસીને આશા છે કે આ જન-આંદોલન દેશભરમાં ભાજપ વિરુદ્ધ વાતાવરણ તૈયાર કરશે.
વકીલના વેશમાં હાઈકોર્ટ પહોંચ્યા મમતા બેનર્જી
ચૂંટણી પરિણામો બાદ કોલકાતા, હાવડા અને અન્ય જિલ્લાઓમાં થયેલી હિંસા, આગજની અને તોડફોડ મામલે ટીએમસીએ કાનૂની માર્ગ અપનાવ્યો છે. ટીએમસીએ કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુજોય પોલ સમક્ષ એક અરજી દાખલ કરીને ટીએમસી કાર્યકરો અને તેમની ઓફિસો પર થઈ રહેલા હુમલા અટકાવવાની માંગ કરી છે. આ મામલાની ગંભીરતાને જોતા, 14 મે ના રોજ મમતા બેનર્જી પોતે વકીલનો પોશાક (કાળો ગાઉન) પહેરીને કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસની કોર્ટમાં પક્ષ રજૂ કરવા હાજર થયા હતા. ટીએમસીએ હિંસામાં માર્યા ગયેલા કાર્યકરોના પરિવારો માટે સુરક્ષા અને કોર્ટની દેખરેખ હેઠળ નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
અભિષેક બેનર્જીનો મુખ્યમંત્રી પર સીધો હુમલો
બીજી તરફ ટીએમસીના જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જીએ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પર પ્રહાર કરતા કહ્યું કે, “રાજ્યે ઘણા મુખ્યમંત્રી જોયા છે, પરંતુ વર્તમાન સીએમ જેવા કોઈ નથી. જે વ્યક્તિ કેમેરા પર કથિત રીતે પૈસા લેતા ઝડપાયો હતો, તેને મુખ્યમંત્રી બનાવી દેવાયો છે.” તેમણે ઉમેર્યું કે ભાજપ ભલે તેમનું ઘર તોડી પાડે કે નોટિસ મોકલે, તેઓ ઝૂકશે નહીં અને લડાઈ ચાલુ રાખશે.










