![]()
રાજકોટના એડિશનલ સેશન્સ જજનો ચૂકાદો : ATSએ 2023ની સાલમાં ત્રણેય બંગાળી કારીગરોને ઝડપી લીધા હતા, પિસ્તોલ-કાર્ટિસ અને સાહિત્ય મળી આવ્યું હતું
રાજકોટ, : રાજકોટની સોની બજારમાંથી પકડાયેલા ત્રણ બંગાળી કારીગરો અમન સિરાજ મલિક (ઉ.વ. 23), અબ્દુલ શકુરઅલી શેખ (ઉ.વ. 20) અને શફનવાઝ એબુ શાહીદ (ઉ.વ. 20)ને દેશવિરોધી કાવતરાં બદલ રાજકોટના એડિશનલ સેશન્સ જજ આઇ.બી. પઠાણે તકસીરવાન ઠરાવી અંતિમ શ્વાસ સુધી આજીવન સખત કેદની સજા ફટકારી છે.
ગુજરાતની એટીએસને એવી બાતમી મળી હતી કે રાજકોટની સોની બજારમાં કામ કરતાં ત્રણ બંગાળી કારીગરો અલ-કાયદા તન્ઝીમનો પ્રચાર કરે છે. એટલું જ નહીં, ભારત વિરોધી ઝેર ઓકવા માટે મોબાઇલ ફોન અને અન્ય વસ્તુનો ઉપયોગ કરે છે. આ બાતમીના આધારે એટીએસે તા. 31-7-2023ના રોજ ત્રણેય બંગાળી કારીગરોને ઝડપી લીધા હતાં.
એટીએસની તપાસમાં એવું ખુલ્યું હતું કે આ ત્રણેય બંગાળી કારીગરો સોની બજારમાં મજૂરી કામ કરી, મસ્જિદમાંથી દેશ વિરોધી જેહાદી પ્રચાર કરતાં હતાં. આ માટે વોટ્સએપ અને બીજા સાહિત્યનો ઉપયોગ કરતા હતાં. આરોપી અબ્દુલ અને સિરાજને એટીએસે રાજકોટ રેલવે સ્ટેશનની પાર્સલ ઓફિસ પાસેથી ઝડપી લીધા હતાં. તે વખતે અબ્દુલ પાસેની બેગમાંથી પિસ્તોલ અને કાર્ટિસ મળી આવ્યા હતાં. જ્યારે અમન પાસેથી મોબાઇલ ફોન અને સીમ કાર્ડ મળી આવ્યા હતાં.
આ મોબાઇલ ફોનમાં સરકાર વિરોધી પ્રચારના લખાણો અને રાહ-એ-હિદાયત નામના ગુ્રપની દેશ વિરોધી પ્રવૃત્તિઓની વિગતો મળી હતી. એટીએસે ત્રીજા આરોપી શફનવાઝને સોની બજારમાં આવેલી કૃષ્ણકુંજ નામની બિલ્ડિંગમાંથી ઝડપી લીધો હતો. તેની પાસેથી પણ દેશ વિરોધી પ્રવૃત્તિનું સાહિત્ય મળી આવ્યું હતું.
સરકાર પક્ષ તરફથી જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ એવી રજૂઆત કરી હતી કે આરોપીઓના મોબાઇલ ફોનમાં વોટ્સએપ ચેટીંગ પરથી સાબિત થાય છે કે તેઓ મુસ્લિમ સમાજના ચોક્કસ વર્ગને દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે ઉપસાવે છે. આરોપીઓ પાસેથી મળી આવેલા મોબાઇલ ફોન, પિસ્તોલ અને કાર્ટિસ અંગે કોઇ જ ખુલાસો કે ઇન્કાર નથી જે સાબિત કરે છે કે ત્રણેય આરોપીઓ કોઇને કોઇ ગુનાઇત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. ત્રણેય આરોપીઓએ પોતાના બચાવમાં બે મુસ્લિમ શખ્સોની સાહેદ તરીકે જુબાની લેવડાવી બચાવ ઉભો કર્યો છે કે તેઓ મસ્જિદમાંથી ક્યારેય પણ દેશ વિરોધી પ્રચાર કરતાં જણાયા નથી. પરંતુ બચાવ પક્ષના સાહેદોની ઉલટ તપાસ કરીને સાબિત કરાયું છે કે બંને સાહેદો દિવસ દરમિયાન નમાઝ માટે મસ્જિદમાં ફક્ત 15થી 20મિનિટ જ જતા હતા. દિવસ દરમિયાનના બાકીના કલાકોમાં જુદા-જુદા સમયે થતી નમાઝ વખતે ત્રણેય આરોપીઓ શું પ્રવૃત્તિઓ કરે છે તે બાબતે બંને સાહેદોને કોઇ જાણકારી નથી. અદાલતે ત્રણેય આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની આજીવન સખત કેદની સજા ઉપરાંત રૂા. 10,000નો દંડ ફરમાવ્યો હતો.










