![]()
જામનગર-ખંભાળિયા હાઇ-વે પર બેડ ટોલનાકા પાસે
ખીમરાણા ગામના પાટિયે કારે બાઇકને ટક્કર મારતા પરિવારના 4 સભ્યો ઘાયલ, ઠેબા ચોકડી પાસે કારે રિક્ષાને હડફેટે લેતા ચાલક તથા 3 મુસાફરોને ઇજા
જામનગર: જામનગર- ખંભાળિયા હાઇ-વે પર બેડ ટોલનાકા પાસે જામનગરથી દ્વારકા યાત્રાળુઓને લઈને જઈ રહેલી ખાનગી મિનિ બસ પલ્ટી ખાઇ જતા બે મહિલા સહિત છ મુસાફરોને ઇજા થઇ હતી.જ્યારે અન્ય બે અકસ્માતોમાં ૮ને ઇજા થઇ હતી.
જામનગર- ખંભાળિયા હાઇ-વે પર બેડ ટોલનાકા પાસે ફાનગી મિનિ બસ પલ્ટી ખાઇ જતા યાત્રાળુઓઓ પૈકી બે મહિલા સહિત છને ઈજા થઈ હતી. આ બનાવની જાણ થતાં ૧૦૮ની ટુકડી અને સિક્કાની પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી, અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અન્ય જિલ્લાના યાત્રાળુઓ દ્વારકા દર્શનાર્થે જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત નડયો હતો.
રાજકોટ-જામનગર હાઇવે પર ખીમરાણા ગામના પાટિયા પાસે પણ અકસ્માતનો બનાવ બન્યો હતો. વનરાજસિંહ બાલુભા જેઠવા પોતાના પત્ની જયશ્રીબા, પુત્રી કામ્યાબા(ઉ.વ.૧૫) અને પુત્ર ભાગ્યરાજસિંહ (ઉ.વ.૧૧)સાથે બાઈક પર ખીરી ગામ ખાતે આવેલ હનુમાનજીના મંદિરે દર્શન કરી પરત ઘરે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી આવતી કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ચારેયને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.અકસ્માત બાદ ચાલક પોતાની કાર સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
જામનગર નજીક ઠેબા ચોકડી પાસે બાયપાસ રોડ પર બેફામ ગતિએ દોડતી કારના ચાલકે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષા ચાલક મોહમદ રફીક બોદુભાઈ નાયક(ઉ.વ. ૫૨)ને ગંભીર ઈજા,જ્યારે રિક્ષામાં બેઠેલા એક મહિલા સહિતના ત્રણ મુસાફરોને પણ ઈજા થઇ હતી. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.










