![]()
આજે વિશ્વ વિરાસત દિવસ: ગુજરાતમાં માત્ર 4 સાઈટ્સ વર્લ્ડ હેરીટેજ : વિશ્વનું સૌપ્રથમ બંદર લોથલ સંભવિત સૂચિમાં : રાણ કી વાવ, અમદાવાદ અને ચાંપાનેર યુનેસ્કો દ્વારા પ્રમાણિત : તે સિવાય અનેક સ્થળો ભવ્ય વારસો
રાજકોટ : આવતીકાલે તા. 18 એપ્રિલ એ વર્લ્ડ હેરીટેજ અર્થાત્ વિશ્વ વિરાસત દિવસ તરીકે ઉજવાશે. ગુજરાતમાં યુનેસ્કો દ્વારા 4 સાઈટ્સને આ દરજ્જો અપાયો છે જેમાં કચ્છના ખદીરબેટ ટાપુ પર આશરે 4500 વર્ષ પહેલા વિકસેલા નગર ધોળાવીરા એ શહેર કેવા હોવા જોઈએ તેનું આજે પણ આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે. તો ગુજરાતનું લોથલ એ પણ આશરે 4500 વર્ષ પહેલાનું વિશ્વનું સૌપ્રથમ સુઆયોજિત પોર્ટટાઉન છે જે હજુ વર્લ્ડ હેરીટેજની સંભવિત (ટેન્ટેટીવ) યાદીમાં છે.
ધોળાવીરા શહેર એ આજની ઝુપડપટ્ટી-દબાણોની જેમ અણઘડ રસ્તાઓ સાથે આડેધડ વિકસેલું નહીં, પણ પૂર્વઆયોજન સાથે વિકસાવાયેલું સિંધુખીણ (હડપ્પન) સંસ્કૃતિનું શહેર હતું. તે અન્ય હડપ્પીયન સ્થળોથી એ રીતે અલગ છે કે આ કિલ્લેબંધ શહેરમાં મકાનો બાંધવા મુખ્યત્વેપથ્થરોનો ઉપયોગ કરાયો છે.
આજના આધુનિક અને વિકાસની વાતોના યુગમાં પણ પર્યાપ્ત જળસંચય, જળાશયો નિર્માણ પર પુરતું લક્ષ્ય દેવાતું નથી ત્યારે એ સમયે પાણીના સંગ્રહ માટે જળાશયો, કેનાલ, પગથિયવાળા કૂવા (સ્ટેપવેલ્સ) મળી આવ્યા છે જે વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ દર્શાવે છે. 3 ભાગમાં વહેંચાયેલા આ શહેરમાં એક મોટુ સાઈન બોર્ડ મળ્યું હતું અને આજે રાજકોટ જેવા મહાનગરમાં શહેરના પ્રવેશદ્વારે કોઈ સાઈન બોર્ડ નથી તે પ્રશ્ન બોર્ડમાં ચર્ચાય છે. માટીના વાસણો,મણકાં બનાવવાના કારખાના સહિત સાધનો પણ મળ્યા હતા.
આ જ રીતે લોથલ બંદર શહેરમાં એ યુગમાં ભરતી દરમિયાન જહાજોને ડોક કરવા માટે ડોકયાર્ડ (ગોદી) જે ઈંટો વગેરેથી બનેલી હતી અને 716 X 116 ફૂટની હતી .સમુદ્રીમાર્ગે પશ્ચિમ એશિયા, આફ્રીકા સાથે ગુજરાતના વેપારનું એ મથક હતું. માલના સંગ્રહ માટે વેરહાઉસ હતું.
વિરાસતના સ્થળો એ વિહરવા પુરતા નથી પણ વર્તમાન યુગમાં ભૌતિક અને આત્મિક વિકાસ તરફ આગળ વધવાની દિશા આપતા હોય છે. જો કે ગુજરાતમાં જાહેર થયેલા કરતા નહીં થયેલા નામી-અનામી અસંખ્ય વિરાસત સ્થળો છે જેેને શોધવાની, સંશોધનની અને સૂચિ કરીને સાચવવાની જરૂર છે










