![]()
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર હિટ એન્ડ રન : ફરાર ટ્રક ચાલક સામે ગુનો દાખલ : અન્ય એક અકસ્માતમાં રોડ ક્રોસ કરી રહેલા યુવાન કારની હડફેટે ગંભીર ઇજાગ્રસ્ત
જામનગર, : જામનગર-રાજકોટ હાઈ-વે પર ભયાનક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, જેમાં ટ્રકની જોરદાર ટક્કર લાગતાં બાઈક પર સવાર બે સાધુઓનાં કરૂણ મૃત્યુ નિપજ્યાં છે.અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને તેની સામે પોલીસ ફરિયાદ થઈ છે.
ગઈકાલે મોડી રાત્રે ઉપલેટા તાલુકાના હરિયાસણ ગામે આવેલા ચૈતન્ય હનુમાનજી મંદિરમાં સેવા પૂજા કરતા સાધુ બ્રિજેન્દ્રમુની સુખસમુનીજી પોતાનું મોટરસાયકલ લઈને સાથે જ સેવાપૂજા કરતા ચંદ્રપાલ ધર્મસિંહ સાથે ધ્રોલ હાઈ-વે પરથી પસાર થઈ રહ્યા હતા.દરમિયાન ધ્રોલ માર્કેટિંગ યાર્ડ નજીક ટ્રકચાલકે બાઈકને જોરદાર ઠોકર મારી હતી. આ અકસ્માતમાં બંને સાધુઓને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચંદ્રપાલ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે બ્રિજેન્દ્રમુનીને વધુ સારવાર માટે જામનગર રીફર કરવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં તેમનું પણ મોત નિપજ્યું હતું.
જામનગર-રાજકોટ રોડ પર શેખપાટ ગામના પાટિયા નજીક માર્ગ ક્રોસ કરતા એક યુવાનને કાર ચાલકે હડફેટમાં લઇ લેતાં અકસ્માત સર્જાયો હતો.સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.










