![]()
Dushyant Dave statement on judiciary: જાણીતા ધારાશાસ્ત્રી એડવોકેટ દુષ્યંત દવેએ રામલાલ પરીખ સ્મૃતિ વ્યાખ્યાનમાળામાં સંબોધન કરતાં દેશની વર્તમાન ન્યાયિક પ્રણાલી અને સામાજિક સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ‘ભારતની આજની જ્યુડિશિયલ સિસ્ટમ ન્યાયને જ સાવ વિસરી ગઈ છે. આજે પ્રજાને જાતિ, જ્ઞાતિ, પંથ અને ધર્મના નામે સતત વિભાજિત કરવામાં આવી રહી છે.’
‘સરકાર આપણી છે, આપણે સરકારના નથી’
દુષ્યંત દવેએ બંધારણીય મૂલ્યો પર ભાર મૂકતા કહ્યું હતું કે, જે સમાજમાં ન્યાય નથી ત્યાં જીવવા જેવું નથી. માનવ મૂલ્યનું પાલન એ ન્યાયની દિશામાં પ્રથમ પગલું છે. આજે આપણે સરકાર થકી છીએ, જ્યારે વાસ્તવમાં સરકાર આપણા થકી હોવી જોઈએ. સરકાર આપણી છે, આપણે સરકારના નથી. હાલમાં નાગરિકો અને શાસકો વચ્ચે સતત સંઘર્ષ જોવા મળી રહ્યો છે, જેમાં સરકાર વ્યક્તિના અધિકારોને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી છે.
સંસદમાં ચર્ચા વિના કાયદા પસાર અને રદ થાય છે
સંસદીય પ્રણાલી પર ટિપ્પણી કરતા તેમણે જણાવ્યું હતું કે, જવાહરલાલ નેહરુએ તૈયાર કરેલા બંધારણના હેતુ અંગે 114 દિવસ ચર્ચા ચાલી હતી. જ્યારે આજે સંસદ કે વિધાનસભામાં કોઈપણ જાતની ચર્ચા વિના જ બિલ પાસ કરી દેવાય છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, ખેડૂતોને લગતા ત્રણ કાયદા ચર્ચા વિના પસાર થયા અને તેવી જ રીતે ચર્ચા વિના પાછા પણ ખેંચી લેવાયા. લોકતંત્રમાં કાયદાનું શાસન સર્વોપરિ હોવું જોઈએ.
શ્યામા પ્રસાદ મુખરજીના વિચારોને યાદ કર્યા
શ્યામા પ્રસાદ મુખરજીના વિચારોને ટાંકીને દવેએ કહ્યું હતું કે, મુખરજી માનતા હતા કે આપણે એક સંગઠિત અને મજબૂત ભારતનું નિર્માણ કરવાનું છે. આ ભારત કોઈ એક કોમ, જ્ઞાતિ કે વર્ગનું નહીં પરંતુ દરેક પુરુષ, મહિલા અને બાળકનું હોવું જોઈએ. જ્યાં દરેકને સમાન તક, સ્વતંત્રતા અને દરજ્જો મળે.
માનવ મૂલ્યો પુનઃપ્રસ્થાપિત કરવાની જરૂર
દેશને આજે સૌથી વધુ જરૂર માનવ મૂલ્યોને પુનઃપ્રસ્થાપિત કરવાની છે. આપણે પરંપરાવાદ અને ભૌતિકવાદમાં અટવાઈ ગયા છીએ અને બંધારણીય મૂલ્યો પ્રત્યે ઉદાસીન બની ગયા છીએ. બંધારણમાં સમાનતા અને ભાતૃભાવ પર ફોકસ કરવામાં આવ્યું હતું, જેને દરેક શાસકે સમજવું અને માન આપવું જરૂરી છે.










