![]()
Motor Vehicle Accident Compensation: મોટર વાહન અકસ્માતના કેસોમાં વળતરની રકમ નક્કી કરવાને લઈને ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થાય, તો તેના નિધન બાદ ફાઈલ કરવામાં આવેલું ઈન્કમટેક્સ રિટર્ન (ITR) પણ વળતરની ગણતરી માટે કાયદેસરનો પુરાવો ગણાશે.
શું હતો સમગ્ર મામલો?
વર્ષ 2017માં વસંતકુમાર નામના એક યુવકનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું. મૃતક યુવક કરિયાણાનો વ્યવસાય કરતો હતો અને દર મહિને 30 હજાર રૂપિયાથી વધુની કમાણી કરતો હતો. તેના પરિવારજનોએ વળતર માટે ક્લેમ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. જોકે, ટ્રિબ્યુનલે મૃત્યુ પછી ફાઈલ કરાયેલા આઈટીઆરને વિશ્વસનીય માનવાનો ઈનકાર કરી દીધો અને ઓછું વળતર મંજૂર કર્યું. આ નિર્ણયથી નારાજ પરિવારે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદના વટવામાં પડ્યો મોટો ભૂવો, ચાલક સહિત આખું બાઈક ગરકાવ, AMCની ઘોર બેદરકારીનો પુરાવો
હાઈકોર્ટની મહત્વની ટકોર
જસ્ટિસે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું કે, મૃત્યુ પછી ફાઈલ કરાયેલું રિટર્ન પણ આવકને પ્રતિબિંબિત કરતો એક વૈધાનિક દસ્તાવેજ છે. ન્યાયિક પ્રક્રિયામાં માત્ર ટેકનિકલ બાબતોને આધારે સાચા પુરાવાઓને નકારી શકાય નહીં, કારણ કે તેનાથી ન્યાયના મૂળ હેતુને નુકસાન થાય છે. મૃતકની આવકનું સાચું મૂલ્યાંકન જરૂરી છે કારણ કે તેના પર આખા પરિવારના વળતરનો આધાર હોય છે.
વળતરની રકમમાં મોટો વધારો
હાઈકોર્ટે ટ્રિબ્યુનલના જૂના નિર્ણયમાં હસ્તક્ષેપ કરીને વળતરની રકમમાં મોટો વધારો કર્યો છે. કોર્ટે આશ્રિતોનું વળતર 34.53 લાખ રૂપિયાથી વધારીને 40,45,940 રૂપિયા કરવાનો હુકમ કર્યો છે. સાથે જ વીમા કંપનીને આદેશ આપ્યો છે કે વધારાની રકમ 6 સપ્તાહમાં વ્યાજ સાથે જમા કરાવવામાં આવે. આ ચુકાદો એવા અનેક પરિવારો માટે આશાનું કિરણ બન્યો છે જેઓ ટેકનિકલ કારણોસર વળતરના કાયદેસરના હકથી વંચિત રહી જતા હતા.








