![]()
અમદાવાદ,શનિવાર,20
ડિસેમ્બર,2025
રાજયમાં સૌથી વધુ માથાદીઠ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન
૨૨૫ લીટર પાણી શહેરની અંદાજિત ૭૫ લાખની વસ્તી સુધી પહોંચાડવા રોજ રુપિયા બે કરોડ
ખર્ચ કરે છે.નર્મદા કેનાલથી શહેરના ૨૩૫ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સુધી પાણી
પહોંચાડી તેને ટ્રીટ કરીને કલોરીનેશન કરવા સહિતનો વાર્ષિક રુપિયા ૭૨૫ કરોડનો ખર્ચ કોર્પોરેશન
કરે છે.જેની સામે કોર્પોરેશનની વોટર ટેકસની વાર્ષિક આવક રુપિયા ૨૭૩ કરોડની આસપાસ
થાય છે.અમદાવાદની તુલનામા સુરત,રાજકોટ કે
વડોદરાના લોકોને રોજ માથા દીઠ ૧૫૦થી ૨૦૦ લીટર પાણી અપાય છે.નર્મદાનુ પાણી છેક કચ્છ
સુધી આપવાનુ આયોજન થઈ ગયુ છે. આ સ્થિતિમાં અમદાવાદીઓએ અત્યારથી જ પાણી વપરાશમાં
કરકસર શરુ કરવી પડશે.
નર્મદાકેનાલથી શહેરના ૨૩૫ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સુધી
રો વોટર લાવી કોતરપુર ઉપરાંત જાસપુર અને રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે રો વોટરના ટ્રીટમેન્ટ અને કલોરીનેશનની
પ્રક્રીયા કરી જે તે વિસ્તારની પોળો,ચાલીઓ,સોસાયટીઓથી લઈ
એપાર્ટમેન્ટ,લો રાઈઝ
કે હાઈરાઈઝ બિલ્ડિંગ સુધી પાણી પહોંચતુ કરાય છે.છેલ્લા કેટલાક વર્ષોથી બદલાયેલી
પેટર્નના કારણે અમદાવાદમા દર વર્ષે સરેરાશ ૪૫ ઈંચની આસપાસ વરસાદ વરસતો હોય છે.બીજી
તરફ ગુજરાતની જીવાદોરી સમાન એવા સરદાર સરોવર ડેમ પણ તેની પુરી સપાટીએ ભરાઈ જાય
છે.આમ છતાં જે પ્રમાણે અમદાવાદના વિસ્તાર અને વસતીનો વ્યાપ વધતો જાય છે.તેને લઈને
અમદાવાદીઓએ પાણી વપરાશમાં અત્યારથી જ
કરકસર કરવી પડશે.એમ નિષ્ણાતોનુ માનવુ છે. અમદાવાદ જેવા શહેરમાં કોર્પોરેશન તરફથી રોજ ૧૮૦ કરોડ લીટર પાણી
શહેરીજનોને પુરુ પાડવામા આવે છે. આ ઉપરાંત અનેક સોસાયટીઓ.એપાર્ટમેન્ટ કે અન્ય
પ્રકારના બિલ્ડિંગોમાં તેમના પ્રાઈવેટ બોર પણ ઓપરેટ કરાતા હોય છે. આ કારણથી શહેરના
ગ્રાઉન્ડ વોટર લેવલમાં દર વર્ષે ઘટાડો થઈ રહયો છે.જે બાબત આવનારા સમય માટે
ચિંતાજનક કહેવાય છે.
અમદાવાદમાં ઝોન દીઠ રોજ અપાતો પાણી સપ્લાય
ઝોન વો.સ્ટેશન સપ્લાય (મિલીયન લીટર)
મધ્ય ૧૯ ૨૯૪.૮
પશ્ચિમ ૪૨ ૩૦૯.૫
ઉત્તર ૩૨ ૨૫૫
દ.પ. ૨૫ ૧૩૦
ઉ.પ. ૩૨ ૨૧૯
દક્ષિણ ૪૫ ૨૯૩.૫
પૂર્વ ૪૦ ૩૦૨
તત્કાલીન કમિશનરે બોરનો ઉપયોગ બંધ કરવા કહયુ હતુ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તત્કાલિન મ્યુનિસિપલ
કમિશનર એમ.થેન્નારસન શહેરમાં વપરાતા પાણીને લઈ ખુબ ચિંતીત હતા.તેમના દ્વારા લગભગ
દરેક વીકલી રીવ્યુ બેઠકમાં વોટર પ્રોજેકટ વિભાગના અધિકારીઓને કોર્પોરેશન દ્વારા
પાણી સપ્લાય માટે ઉપયોગમા લેવાતા બોરનો ઉપયોગ બંધ કરી નેટવર્ક ગોઠવી પાણી સપ્લાય
આપવા માટે તાકીદ કરાતી હતી.
અમદાવાદ કોર્પોરેશનની વોટર ટેકસની વાર્ષિક આવક રુપિયા ૨૭૩
કરોડ આસપાસ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રોપર્ટી ટેકસના બીલની સાથે
જે પાણી વેરો વસૂલે છે તેની વાર્ષિક આવક રુપિયા ૨૭૩ કરોડની આસપાસ થતી હોય છે.
શહેરીજનો માથા દીઠ પાણીનો જેટલો વપરાશ કરે છે તેની સરખામણીમા જેટલુ પાણી વાપરે છે
તે સામે પાણી વેરો તો સાવ સામાન્ય કહી શકાય.
ખાડિયા સહિતના અન્ય વોર્ડમા પાણીનો વેડફાટ
અમદાવાદના ખાડિયા વોર્ડમાં આવેલી મોટાભાગની પોળો ખાલી થઈ ગઈ
છે.કોમર્શિયલ બાંધકામો થવાથી પોળોમા રહેતા પરીવાર ઓછા થઈ ગયા છે. ઉપરાંત અનેક
મકાનો બંધ હાલતમાં છે. આમ છતાં પોળોમા રહેતા લોકો પૈકી કેટલાક તો એવા પરિવારો જોવા
મળ્યા છે કે જે રોજ સવારે વહેલા ઉઠવા માટે થઈને તેમના ઘર પાસે આવેલો નળ રાતથી જ
ખુલ્લો રાખે છે.સવારે પાણી સપ્લાય છ કલાકથી શરુ થાય અને એ પછી પંદરથી વીસ મીનીટ
સુધી ચાલુ રાખવામા આવેલા નળમાંથી પાણી વહેતુ રહેતુ હોય છે.આ પ્રમાણે શહેરના કેટલાક
વોર્ડમાં પીવાના પાણીનો ઉપયોગ વાહનો ધોવામા કે ઘરના આંગણા સાફ કરવા માટે કરવામા
આવતો હોવાનુ પણ સામે આવ્યુ છે.










