Jamnagar : જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-6 માં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કરી લેવાયાને એક વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં રોડનું કામ ફરી હાથ ધરવામાં આવ્યું નથી. જેને લઈને સ્થાનિક નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે. તેમજ વોર્ડ નંબર 6 ના વિરોધ પક્ષના કોર્પોરેટર ફુરકાન શેખ દ્વારા પોતાના કાર્યકર્તાઓને સાથે રાખીને આ મામલે ડેપ્યુટી મેયરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવાયું છે.
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.6 માં છેલ્લા 1 વર્ષથી ભૂગર્ભ અને અન્ય કામગીરી માટે રોડ તોડવામાં આવેલ છે. હાલ 1 વર્ષ પૂર્ણ થઇ ગયું હોવા છતાં પેચવર્કની કામગીરી થઈ નથી. આ વિસ્તારમાં આવેલા બાલાજી પાર્ક મેઈન રોડ, એરફોર્સથી ઢીચડા જતો રસ્તો, આંબેડકર બ્રીજથી આવાસ જતો રસ્તો, દ્વારકેશ સોસાયટીનો રસ્તો, તિરુપતિ પાર્કનો રસ્તો, શિવ ટાઉન શીપ તરફ જતો રસ્તો, રાજીવનગર જતો રસ્તો વગેરે અત્યંત તૂટેલી અવસ્થામાં છે. જે તાત્કાલિક અસરથી ચોમાસાની સિઝનમાં લોકો વધુ હેરાન થાય તે પહેલા બનાવી આપવા રજૂઆત કરવામાં આવી છે અને ડેપ્યુટી મેયરને આવેદનપત્ર પાઠવાયું છે.