Air india: એર ઈન્ડિયાએ પોતાના તમામ બોઈંગ 787 અને બોઈંગ 737 વિમાનોના ફ્યુલ કંટ્રોલ સ્વિચ (FCS)ના લોકિંગ મિકેનિઝમની સાવધાનીથી તપાસ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. એર ઈન્ડિયાના જણાવ્યાનુસાર, ’14મી જુલાઈ 2025ના રોજ જાહેર કરાયેલી DGCAની સૂચનાઓનું પાલન કર્યું છે. બોઈંગ વિમાનોના ફ્યુલ કંટ્રોલ સ્વિચના લોકિંગ મિકેનિઝમમાં કોઈ સમસ્યા જોવા મળી નથી.’
તમામ બોઈંગ 787 અને 737 ફ્લીટનું નિરીક્ષણ
એર ઈન્ડિયાએ જણાવ્યાનુસાર, ‘તમામ બોઈંગ 787 અને બોઈંગ 737 વિમાનોનું ફ્યુલ કંટ્રોલ સ્વિચ (FCS) લોકિંગ મિકેનિઝમની તપાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. તેમાં કોઈ સમસ્યા મળી નથી. 12મી જુલાઈથી શરૂ થયેલી તપાસ પ્રક્રિયા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થઈ હતી.
ડીજીસીએ દ્વારા બોઈંગ અને ભારતમાં કાર્યરત અન્ય વિમાનોની ફ્યુલ કંટ્રોલ સ્વિચ સિસ્ટમની તપાસનો આદેશ આપ્યો હતો. નોંધનીય છે કે, એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના અંગેના 15 પાનાના પ્રાથમિક રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે ટેકઓફ પછી એક સેકન્ડમાં એન્જિનને ફ્યુલ પૂરું પાડતી સ્વિચ બંધ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: મતદાર પાત્રતા સાબિત કરવા આધાર કાર્ડ, વોટર ID, રૅશન કાર્ડ પર ભરોસો ન કરાય: SCમાં ચૂંટણી પંચની દલીલ
અમદાવાદ પ્લેન ક્રેશમાં 260 લોકોએ ગુમાવ્યા જીવ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 12મી જૂન ગુરુવારના રોજ બપોરે 1.38 વાગ્યે એર ઈન્ડિયાના અમદાવાદથી લંડન જતા AI 171 વિમાને ઉડાન ભરી હતી, જેની બે મિનિટમાં જ 1.40 વાગ્યે જ વિમાન ધડાકાભેર બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલની ઈમારત સાથે અથડાયું હતું. જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. એકમાત્ર મુસાફરનો આબાદ બચાવ થયો હતો. ઈમારતમાં ઉપસ્થિત અને આસપાસના અન્ય 19 લોકો મૃત્યુ નીપજ્યાં હતા.