![]()
કાંગશિયાળી નજીક ખોખડદડ ફાટક પાસે બનેલી ઘટના : 2 સંતાનોનો પિતા અને વીસેક દિવસ પહેલાં જ છૂટાછેડા લેનાર યુવતી દિવસથી ગાયબ હતા
રાજકોટ, : લોધીકાના પારડી ગામે આવેલી સહજાનંદ સોસાયટીમાં રહેતા પરસોતમ મગનભાઈ ચાવડા (ઉ.વ. 36) અને શાપરની સર્વોદય સોસાયટીમાં રહેતી મધુ જેન્તીભાઈ રાઠોડ (ઉ.વ. 25)એ કાંગશિયાળી ગામની સીમમાં ખોખડદળ ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. પ્રેમમાં નિષ્ફળતા મળતા આ આત્મઘાતી પગલું ભરી લીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, મધુના લગ્ન થઇ ગયા હતા. છૂટાછેડા થતાં જ પ્રેમી પરસોતમ સાથે વીસેક દિવસ પહેલા ભાગી ગઇ હતી. આટલા દિવસો સુધી બંને ક્યા હતા તે વિશે બંનેના પરિવારજનોને કોઇ માહિતી મળી ન હતી. મધુના પરિવારજનોએ શાપર પોલીસમાં ગુમ થયાની જાહેરાત પણ કરી હતી.
ગઇકાલે રાત્રે બે વાગ્યાની આસપાસ બંનેએ ટ્રેન હેઠળ ઝંપલાવી દીધું હતું. જેને કારણે બંનેના માથા છૂંદાઇ ગયા હતા. જાણ થતા જ શાપર પોલીસના એએસઆઈ મુકેશભાઈ ડાભી સ્થળ પર પહોંચ્યા હતા. પરસોતમના ખિસ્સામાંથી એટીએમ કાર્ડ વગેરે મળી આવ્યું હતું, જેના આધારે તેની ઉપરાંત મધુની ઓળખ મળી હતી. જાણ થતાં જ બંનેના પરિવારજનો આઘાતથી સ્તબ્ધ થઇ ગયા હતા. બંનેએ પ્રેમમાં નિષ્ફળતા મળતા આ પગલું ભર્યાની શક્યતા પોલીસે દર્શાવી છે. પરસોતમ મજૂરી કામ કરતો હતો. તેને સંતાનમાં 5 વર્ષનો પુત્ર અને 1 વર્ષની પુત્રી છે. પરસોતમ અને મધુ એક સાથે જ ગાયબ થઇ ગયા હતા.










