![]()
નવરાત્રી થી દિવાળીની ૪૨ દિવસની તહેવારોની મોસમ
મુંબઈ : વર્તમાન વર્ષના નવરાત્રી થી દિવાળીની ૪૨ દિવસની તહેવારોની મોસમ દરમિયાન દેશમાં ઓટો રિટેલ વેચાણ આંક બાવન લાખથી વધુ સાથે વિક્રમી સપાટીએ જોવા મળ્યો છે. ગયા વર્ષના નવરાત્રી થી દિવાળીની મોસમની સરખામણીએ વર્તમાન વર્ષના આ ગાળામાં રિટેલ વેચાણમાં ૨૧ ટકા વધારો જોવા મળ્યો છે. પેસેન્જર વાહનો તથા ટુ વ્હીલર્સના વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ થયાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના સુત્રોએ જણાવ્યું હતું.આગામી લગ્નસરાની મોસમમાં પણ વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
વર્તમાન વર્ષના નવરાત્રીના પ્રથમ દિવસથી જ ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં જોરદાર ઘટાડાને કારણે વાહનોની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થતા ગ્રાહકોમાં તહેવારો દરમિયાન ખરીદીનું આકર્ષણ વધ્યું હતું.
એકંદર ઓટો રિટેલ વેચાણ આંક જે ગયા વર્ષના નવરાત્રી થી દિવાળીના તહેવારોમાં ૪૩,૨૫,૬૩૨ રહ્યો હતો તે વર્તમાન વર્ષમાં ૨૧ ટકા વધી ૫૨,૩૮,૪૦૧ રહ્યાનું ફાડાના નિવેદનમાં જણાવાયું હતું.
પેસેન્જર વાહનોનું વેચાણ ૬,૨૧, ૫૩૯ એકમથી ૨૩ ટકા વધી ૭,૬૬,૯૧૮ રહ્યું હતું જ્યારે ટુ વ્હીલર્સનું વેચાણ ૩૩,૨૭,૧૯૮ એકમ પરથી ૨૨ ટકા વધી ૪૦,૫૨,૫૦૩ વાહન જોવા મળ્યું હતું.
જીએસટીમાં ઘટાડાને કારણે વાહનોની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થતા ખરીદીમાં વધારો થયો હતો. કેટલાક શહેરોમાં તો ડીલરો પાસે માલના પૂરવઠા કરતા માગ વધારે જોવા મળી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.
ટુ વ્હીલર્સના વેચાણમાં વધારા માટે સારી લિક્વિડિટી તથા જીએસટીમાં કપાતથી એફોર્ડિબિલિટી કારણભૂત રહ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં ટુ વ્હીલર્સની ઊંચી માગ રહી હતી.
તાજેતરના વર્ષોમાં વર્તમાન વર્ષની તહેવારોની મોસમ શ્રેષ્ઠ રહ્યાનો ડીલરો જણાવી રહ્યા હતા. થ્રી વ્હીલર્સ તથા કમર્સિઅલ વાહનોના વેચાણમાં પણ અનુક્રમે ૯ ટકા અને ૧૫ ટકા વધારો થયો હતો.
ઓકટોબર મહિનાની વાત કરીએ તો ઓટો વેચાણમાં વાર્ષિક ધોરણે ૪૧ ટકા વધારો થઈને એકંદર વેચાણ ૪૦,૨૩,૯૨૩ એકમ રહ્યું છે. ઓકટોબરમાં ટુ વ્હીલર્સ તથા પેસેન્જર વાહનોનો વેચાણ આંક અત્યારસુધીનો સૌથી વિક્રમી વેચાણ આંક રહ્યો છે.
જીએસટીમાં રાહતને પરિણામે આગામી ત્રિમાસિક માટે ઓટો રિટેલનું આઉટલુક નિર્ણયાત્મક રીતે પોઝિટિવ જણાઈ રહ્યું હોવાનો દાવો કર્યો હતો. તહેવારોની મોસમ બાદ લગ્નસરાની મોસમમાં પણ માગ ઊંચી રહેવાની ડીલરો અપેક્ષા રાખી રહ્યા છે.










