Vijay Mallya: કિંગફિશર એરલાઇન્સના માલિક અને ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા જે બૅન્કોના હજારો કરોડ રૂપિયાનું દેવું કરીને દેશ છોડીને ભાગી ગયો છે, તેનો વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે. માલ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક લાંબી પોસ્ટ લખીને સીધા ભારત સરકાર અને બૅન્કો પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેનો દાવો છે કે વસૂલ કરાયેલી રકમના સાચા આંકડા છુપાવીને તેઓ જનતાને છેતરી રહ્યા છે.
વસૂલાતની રકમ પર સવાલો
માલ્યાએ ચોક્કસ આંકડાઓ સાથે કેટલાક સવાલો ઉઠાવ્યા છે, આ અંગે તેનું કહેવું છે કે, ‘એક તરફ નાણાં મંત્રી સંસદમાં ₹14,100 કરોડની વસૂલાતની વાત કરે છે, જ્યારે બીજી તરફ બૅન્કો માત્ર ₹10,000 કરોડની વાત કરે છે. આ ₹4,000 કરોડનો મોટો તફાવત ક્યાં ગયો?’
માલ્યાના જણાવ્યા મુજબ, તેનું મૂળ દેવું માત્ર ₹6,203 કરોડ હતું. તેમ છતાં, બાકી રકમ પણ જુદી-જુદી કેમ બતાવવામાં આવે છે? (જેમાં એક મંત્રી ₹10,000 કરોડ અને બૅન્કો ₹ 7,000 કરોડ બાકી હોવાનો દાવો કરે છે).
નિવૃત્ત ન્યાયાધીશની માગણી
આ સમગ્ર નાણાકીય મામલાની સ્પષ્ટતા માટે માલ્યાએ નિવૃત્ત ન્યાયાધીશની નિમણૂક કરવાની માગણી કરી છે. જોકે, તેણે આ બધા આક્ષેપો લગાવતી વખતે એ હકીકતને અવગણી છે કે તે પોતે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કર્યા વિના જ દેશ છોડીને ભાગી ગયો હતો.
બ્રિટન કોર્ટમાં કેસ
વિજય માલ્યા અને નીરવ મોદી જેવા ભાગેડુ ગુનેગારો હાલમાં બ્રિટનની અદાલતોમાં કેસ લડીને પોતાના ભારત પ્રત્યાર્પણનો સખત વિરોધ કરી રહ્યા છે. તેઓ સતત એવી દલીલ કરી રહ્યા છે કે જો તેમને ભારત પાછા મોકલવામાં આવશે, તો તેમના જીવનને ગંભીર જોખમ થઈ શકે છે. નીરવ મોદીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે ભારત પ્રત્યાર્પિત થયા બાદ તે કાં તો માર્યો જશે અથવા આત્મહત્યા કરી લેશે.
ભાગેડુઓની દલીલો પર તપાસ
જોકે, આ ભાગેડુઓને ભારત પાછા મોકલવાની શક્યતાઓ તાજેતરમાં એક મહત્ત્વના ઘટનાક્રમ બાદ વધુ મજબૂત બની છે. આવા ગુનેગારોની દલીલોને ધ્યાનમાં રાખીને, બ્રિટનની ‘ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ(CPS)’ની એક ટીમ દ્વારા દિલ્હીની તિહાડ જેલની મુલાકાત લેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, જુલાઈ મહિનામાં થયેલી આ મુલાકાત દરમિયાન CPSની ટીમમાં ચાર લોકોનો સમાવેશ થતો હતો, જેમાં બે CPSના નિષ્ણાતો અને બે બ્રિટિશ હાઇ કમિશનના અધિકારીઓ સામેલ હતા.
ભાગેડુઓને સોંપવાનો મજબૂત સંકેત
આ ટીમનો મુખ્ય હેતુ એ તપાસવાનો હતો કે જો બ્રિટનથી ભાગેડુઓને ભારત મોકલવામાં આવે, તો તિહાડ જેલમાં તેને કેવી સુવિધા અને સુરક્ષા આપવામાં આવશે. આ મુલાકાતમાં નીરવ મોદી અને વિજય માલ્યા સહિત અન્ય ભાગેડુ ગુનેગારોના કેસનો સમાવેશ થતો હતો, જેઓ ભારતમાં સુરક્ષાના અભાવની દલીલ આપી રહ્યા છે. આ મુલાકાત સ્પષ્ટપણે દર્શાવે છે કે બ્રિટન હવે આ ગુનેગારોને ભારતને સોંપવાના પક્ષમાં ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.











