![]()
– ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં 29 ઠરાવ મંજૂર
– કુંભારવાડામાં કરોડોના ખર્ચે બનાવેલ એસટીપીનું બિલ્ડીંગ-સાધનો બિસ્માર બની જતા ચેરમેને ટકોર કરી : રૂા. 59.27 કરોડના કામને મંજૂરી અપાઈ
ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક આજે બુધવારે મળી હતી, જેમાં જુદા જુદા કામોને બહાલી આપવામાં આવી હતી. મહાપાલિકાના કામોમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે તેથી સ્ટેન્ડિંગ કમિટિમાં સવાલ ઉઠયાં હતાં.
મહાપાલિકાના હોલ ખાતે આજે બુધવારે સાંજે સ્ટેન્ડિંગ કમિટિની બેઠક ચેરમેનના અધ્યક્ષ સ્થાને બંધ બારણે મળી હતી. આ બેઠકમાં જુદા જુદા કામના પ્રશ્ને સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં કુંભારવાડા વિસ્તારમાં સ્વેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી)નું બિલ્ડીંગ બિસ્માર થઈ જતા ચેરમેને સવાલો ઉઠાવ્યા હતાં. આ પ્લાન્ટ ગત વર્ષ ર૦૧૭ માં આશરે ર૦ કરોડમાં બનાવ્યો હતો અને થોડા વર્ષ પ્લાન્ટ સરખો ચાલ્યો હતો, ત્યારબાદ જાળવણીના અભાવે બિલ્ડીંગ અને સાધનો ખરાબ થઈ ગયા હોવાથી ચેરમેને યોજના વિભાગના અધિકારીને યોગ્ય જાળવણી કરવા સૂચના આપી હતી. કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે ત્યારે થોડા વર્ષમાં જ બિલ્ડીંગ અને સાધનો ખરાબ થઈ જતા રૂપિયાનો વ્યય થતો હોય છે.
સ્ટેન્ડીંગ કમિટિમાં અંદાજીત રકમ રૂા. ૫૯.૨૭ કરોડનાં ખર્ચથી વિકાસનાં કામોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં કુંભારવાડા વોર્ડમાં આવેલા ગઢેચી વડલાથી કુંભારવાડા સર્કલ તરફ જતા જવાહર કોલોની પાસે ફાટક નં. ૨૧૯/બી પર રેલ્વે અન્ડર બ્રિજ બનાવવાનુ કામ રૂા. ૨૨,૭૪,૩૬,૫૩૦ ખર્ચે કરવાનુ હતુ પરંતુ નેગોશીએશન કરવામાં આવતા એજન્સી દ્વારા વધુ ર ટકા ઘટાડો કરવામાં આવેલ છે. તરસમીયા અને તખ્તેશ્વર ફિલ્ટર ખાતે જનરેટર વસાવવા અંગે કાર્યવાહી કરવા જણાવેલ છે. મહાપાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા નવા સર્કલો, ટ્રાયેંગ્લ કે ડીવાઇડર દત્તક આપવા માટે પ્લાનીંગ અને જાળવણી અંગેના આયોજનની વિગતો મેળવ્યાં બાદ મંજૂરી અંગે આગળની કાર્યવાહી કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. ચાર ઠરાવ અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યા હતા તેથી કુલ ર૯ ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી. ઝડપી કામ પૂર્ણ કરવા અને પેન્ડીંગ ફાઈલોનો નિકાલ કરવા ચેરમેને સૂચના આપી હતી.
સંસ્કાર મંડળ અને વાઘાવાડી રોડનું કામ સાથે શરૂ કરાતા નારાજગી
ભાવનગર શહેરના સંસ્કાર મંડળથી સહકારી હાર્ટ સુધીના રોડની કામગીરી શરૂ હતી ત્યાં કાળિયાબીડ પાણીની ટાંકીથી વાઘાવાડીના રોડનું કામ શરૂ કરાતા વાહન ચાલકોને ખુબ જ હાલાકી પડી રહી છે. આ બાબતે કાળિયાબીડના નગરસેવક પરેશ પંડયાએ સવાલ ઉઠાવી નારાજગી વ્યકત કરી હતી અને યોગ્ય આયોજન કરવા ટકોર કરી હતી.
ઓપરેશન એન્ડ મેન્ટેનન્શના કામમાં ચેકીંગ કરવા સૂચના
ભાવનગર મહાપાલિકા દ્વારા ઓપરેશન એન્ડ મેન્ટેનન્શના કેટલા કામ ચાલતા હોય છે અને આ કામમાં ધ્યાન રાખવા માટે એજન્સીઓએ માણસો બેસાડવાના હોય છે પરંતુ માણસો બેસાડવામાં ન આવતા હોવાનું કમિટિના સભ્યોના ધ્યાનમાં આવ્યુ હોવાથી સવાલ કર્યા હતાં. આ બાબતે કમિશનરે ચેકીંગ કરાવવા સૂચના આપી હતી.










