![]()
ભારત-ઓમાન વેપાર કરાર : ૩ બિલિયન ડોલરથી વધુ મૂલ્યની નિકાસને રાહત
અમદાવાદ : જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના મતે ભારત-ઓમાન કોમ્પ્રેહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રિમેન્ટ (સીઈપીએ) કે જે અંતર્ગત ઓમાનમાં ભારતમાંથી જેમ્સ અને જ્વેલરીની આયાત પર ઈમ્પોર્ટ ડયુટીને નાબૂદ કરી છે તેને લીધે બન્ને દેશ વચ્ચે થતી નિકાસમાં નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ થશે તથા બન્ને દેશો વચ્ચે પ્રત્યક્ષ વ્યાપાર સંબંધોને વધુ મજબૂતી મળે તેવી આશા છે.
ભારતની ઓમાનમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ અત્યારે ૩૫ મિલિયન યુએસ ડોલર રહી છે(વર્ષ ૨૦૨૪). સીઈપીએ અંતર્ગત ડયુટી-ફ્રી એક્સેસ મળવાથી જીજેઈપીસીને એવો અંદાજ છે કે વધારી સારી કિંમતની સ્પર્ધાત્મકતા, વધારે ઉત્પાદનોને લગતા વિકલ્પો તથા ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે વધુ સારા સહયોગને લીધે આગામી ત્રણ વર્ષમાં નિકાસ વધીને ૧૫૦ મિલિયન યુએસ ડોલર સુધી પહોંચી શકે છે.
જીજેઈપીસીએ જણાવ્યું હતું કે, ભારત-ઓમાન સીઈપીએ પ્રત્યક્ષ વ્યાપાર સંબંધોને મજબૂત કરશે અને ઓમાનમાં ભારતના જેમ અને જ્વેલરીની નિકાસ વધારવા માટે એક મુખ્ય માધ્યમ છે.ઝીરો ડયુટી એક્સેસથી ભારતીય નિકાસકારો માટે સ્પર્ધાત્મકતામાં ઘણો સુધારો થશે તથા ડાયરેક્ટ સોર્સિંગને ઉત્તેજન મળશે.
ચાંદી, પ્લેટિનમ તથા ઈમિટેશન જ્વેલરીની માંગ વધી રહી છે. આ ફ્રેમવર્ક સાથે આગામી ત્રણ વર્ષમાં ઓમાનમાં નિકાસ ૩૫ મિલિયન યુએસ ડોલરથી વધીને આશરે ૧૫૦ મિલિયન યુએસ ડોલર થઈ શકે છે.
ભારત અગાઉથી જ ઓમાનને ગોલ્ડ જ્વેલરીનો સૌથી મોટો સપ્લાયર છે, ખાસ કરીને ૨૨ કેરેટના વેડિંગ અને ટ્રેેડિશનલ ડિઝાઈનની જ્વેલરીમાં તથા વર્ષ ૨૦૨૪-૨૫માં ૮૦.૧૧ ટકાની મજબૂત વૃદ્ધિ જોવા મળી છે.
ઓમાનના વ્યૂહાત્મક સ્થાન તથા સ્થિર બિઝનેસ માહોલ સાથે સીઈપીએ આ દેશને જીસીસી, આફ્રિકા તથા પડોશી ક્ષેત્રોમાં ભારતીય જ્વેલરીની નિકાસ માટે એક સંભવિત ગેટવે તરીકે સ્થાપિત કરે છે, જેથી ટ્રેડ એફિશિએન્સી અને પ્રાદેશિક બજાર સુધીની પહોંચ વધુ સારી બને છે.
ભારત-ઓમાન વેપાર કરાર હેઠળ, ઓમાનમાં ૩ બિલિયન ડોલરથી વધુ મૂલ્યની નિકાસ ડયુટી-મુક્ત થશે. આ ડયુટી-મુક્ત નિકાસમાં ભારતીય કાપડ, રસાયણો અને અન્ય માલનો સમાવેશ થશે. આ કરાર વેપારને વેગ આપશે, કારણ કે નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૩.૪૨ બિલિયન ડોલર મૂલ્યની ભારતીય નિકાસના આશરે ૮૩.૫ ટકા, ઓમાનમાં આશરે ૫ ટકા ડયુટીને આધીન હતી.
ભારત અને ઓમાન વચ્ચે દ્વિપક્ષીય વેપાર નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૧૦ બિલિયન ડોલરનો આંકડો વટાવી ગયો હતો. આ જ સમયગાળા દરમિયાન, ભારતે ઓમાનથી ૬.૬ બિલિયન ડોલરના માલની આયાત કરી હતી, જેના પરિણામે ૨.૫ બિલિયન ડોલરની વેપાર ખાધ થઈ હતી.










