NHAI On Toll Scam : ટૉલ કૌભાંડ મામલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ મોટી કાર્યવાહી કરી છે. જેમાં 42 જેટલાં ટૉલ પ્લાઝા પર ગેરકાયદે નાણાં પડાવવાના મામલે 14 એજન્સીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા રચાયેલી તપાસ સમિતિના અહેવાલના આધારે NHAIએ જવાબદાર એજન્સીઓ પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે અને કરારની શરતોના ઉલ્લંઘન બદલ તેમની લગભગ 100 કરોડ રૂપિયાની સુરક્ષા ડિપોઝિટ પણ જપ્ત કરી લેવામાં આવી છે. જ્યારે સરકારને 120 કરોડનો ચૂનો લગાવ્યો હોવાનું સામે આવ્યું છે.
એજન્સીકર્મીઓ ખોટા રીતે નાણાની વસૂલાત કરતાં
યુપી એસટીએફે મિર્ઝાપુરના અત્રૈલા શિવ ગુલામ ટોલ પ્લાઝા પર દરોડા પાડ્યા બાદ ટૉલ કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, દેશના લગભગ 42 ટૉલ પ્લાઝા પર ગેરકાયદેસર ટોલ વસૂલાત ચાલી રહી હતી. જેમાં સરકારને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ટૉલ પ્લાઝા પર FASTag વગર અથવા પ્રતિબંધિત FASTag વાળા વાહનો પાસેથી એજન્સીકર્મીઓ ખોટા રીતે નાણાની વસૂલાત કરતાં હતા.
સમગ્ર મામલે એજન્સી વિરૂદ્ધમાં કેસ દાખલ કરવાની સાથે એજન્સીઓને નોટિસ પણ ફટકારવામાં કરવામાં આવી હતી. જ્યારે ટૉલ કૌભાંડને લઈને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ત્રણ સભ્યોની તપાસ સમિતિની પણ રચના કરી છે.
આ પણ વાંચો: પાકિસ્તાન-ચીન સહિત 12 દેશની જેલોમાં 10,152 ભારતીય કેદ, 49 ફાંસીની રાહમાં, જુઓ ડેટા
બે વર્ષ માટે એજન્સી પર પ્રતિબંધ
સરકારનો દાવો છે કે, ઈલેક્ટ્રોનિક ટૉલ કલેક્શન (ETC) સિસ્ટમમાં કોઈ ખામી ન હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. જેમાં 98 ટકા ટૉલ સંગ્રહ ETC સિસ્ટમમાંથી થયો હોવાનું સામે આવ્યું હતું. જો કે, એજન્સીઓ નોટિસનો સંતોષકારક જવાબ આપી શકી ન હતી, એટલા માટે NHAIએ કાર્યવાહી કરીને જવાબદાર એજન્સીઓ પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો અને ડિપોઝિટ પણ જપ્ત કરી હતી.
જ્યારે હવે આ તમામ ટૉલ પ્લાઝા પર ટૉલ લેવા માટે અન્ય નવી એજન્સીઓને કામ સોંપવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે, મંત્રાલયે સંસદને જાણ કરી છે કે સચોટ ડેટા એકત્રિત કરવા માટે મુખ્ય ટૉલ પ્લાઝા પર AIનો ઉપયોગ કરીને ઓડિટ કેમેરા લગાવવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: દેશના 23 લાખ સરકારી કર્મચારીઓને ભેટ, 1 એપ્રિલથી લાગુ થશે UPS, PFRDAએ જારી કર્યું નોટિફિકેશન
સરકાર દ્વારા સંસદમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ખોટી રીતે ટૉલ વસૂલવા બદલ 2024માં 12.55 લાખ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ‘ખોટી ટૉલ વસૂલાતના કેસોમાં અત્યાર સુધીમાં સંબંધિત એજન્સીઓ પર 2 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ખોટા ટૉલ વસૂલાતની જાણ કરવામાં આવી હતી. કુલ 410 કરોડ FASTag વ્યવહારો થયા હતા, જે તમામ FASTag વ્યવહારોના 0.03 ટકા છે.