![]()
સાસરિયાના ત્રાસથી મોતનું પગલું ભર્યાનો આક્ષેપ
મેણાં-ટોણાં મારીને પિયરમાંથી રૂપિયા લાવવા દબાણ કરી મરવા મજબૂર કર્યાની પિતા દ્વારા રજૂઆત કરાઈ
નડિયાદ: નડિયાદની નહેરમાં પુત્ર સાથે ઝંપલાવી જીવન ટૂંકાવનાર પરિણીતાના મોત મામલે મહેળાવ પોલીસે પતિ, સસરા અને નણંદ વિરુદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે. પિયરમાંથી રોકડ રકમ લાવવા બાબતે અવારનવાર મેણાં-ટોણાં મારી માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કર્યા હોવાના પિતાના આક્ષેપ બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ખેડા જિલ્લાના મહેળાવ પોલીસ મથકની હદમાં આવતી નહેરમાંથી ગત તા. ૨૭-૦૨-૨૦૨૬ના રોજ શિલ્પાબેન નામની પરિણીતા અને તેના પુત્ર જયવીરની લાશ મળી આવવાના પ્રકરણમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ મામલે મૃતકના પિતા ગંભીરસિંહ પરમારે પોતાની દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ જમાઈ ધવલસિંહ પ્રવિણસિંહ રાઠોડ, સસરા પ્રવિણસિંહ શીવસીંહ રાઠોડ અને નણંદ ઉર્વશીબેન વિરૂદ્ધ મહેળાવ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, શિલ્પાબેનના લગ્ન આશરે ૧૪ વર્ષ પહેલા રધવાણજ ગામે થયા હતા, પરંતુ લગ્ન બાદ આરોપીઓ દ્વારા તેને વાસણ બરાબર ન ધોવા, જમવાનું બનાવતા ન આવડવું અને પિયરમાંથી કોઈ વસ્તુ લાવી નથી તેમ કહી માનસિક ત્રાસ આપી મેણાં-ટોણાં મારવામાં આવતા હતા.
અંતે સાસરીયાઓના અસહ્ય ત્રાસ અને પિયરમાંથી વારંવાર રૂપિયા લાવવા માટે કરવામાં આવતા દબાણથી કંટાળીને શિલ્પાબેને તેના પુત્ર જયવીર સાથે નડિયાદ એન.ડી. દેસાઈ હોસ્પિટલ પાછળ આવેલી નહેરમાં તા. ૨૫-૦૨-૨૦૨૬ના રોજ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે હાલ આ મામલે બી.એન.એસ.ની કલમ ૧૦૮ અને ૮૫ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
– જો રૂપિયા ના લાવી શકે તો મરી જજે તેવી ધમકી
આક્ષેપો મુજબ, સાસરીયાઓ દ્વારા શિલ્પાબેનને એવી ધમકી આપવામાં આવતી હતી કે, હવે જ્યારે પણ તું પિયર જાય ત્યારે તારા બાપા પાસેથી રૂપિયા લઈને આવજે. જો તું પિયરમાંથી રૂપિયા ન લાવી શકે તો રસ્તામાં ગમે ત્યાં જઈને મરી જજે, તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. આ આઘાતજનક હકીકત પિતાને તેની પત્ની અને પુત્રવધૂ દ્વારા જાણવા મળતા તેમણે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.










