![]()
Maritime Milestone for Kerala : અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં જહાજી વેપાર ઠપ થઈ ગયો અને એની પ્રતિકૂળ અસર આખા વિશ્વ સહિત ભારત પર પણ પડી રહી છે. જો કે, વૈશ્વિક સંકટના આ સમયમાં ભારતના હાથમાં એક સુવર્ણ તક પણ આવી છે. એ છે કેરળના દરિયાકાંઠે આકાર લઈ રહેલું ‘વિઝિંજમ’ બંદર (Vizhinjam Port).
ચાલો જાણીએ ભારતને દુનિયાનું નવું ‘પ્રવેશદ્વાર’ બનાવવા જઈ રહેલું આ પોર્ટ કેવું છે.
‘હોર્મુઝ સ્ટ્રેટ’ બંધ થતાં ભારત માટે તક ખુલી
ઈરાન અને ઓમાનની વચ્ચે આવેલો સાંકડો દરિયાઈ માર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે 29 ફેબ્રુઆરીથી બંધ છે. અનધિકૃત વહાણોને ત્યાંથી પસાર થવાની મંજૂરી નથી. આ કારણસર વૈશ્વિક પુરવઠા શૃંખલા પર ભારે અસર પડી છે, કારણ કે વિશ્વના વીસ ટકા ઓઈલ-જથ્થાનો વેપાર આ માર્ગ પર નિર્ભર હતો. આ માહોલમાં આખી દુનિયા એક નવા, સુરક્ષિત અને ભરોસાપાત્ર દરિયાઈ દરવાજાની શોધમાં હતી.
100 વહાણોની લાઈન લાગી છે: શશી થરૂર
વૈશ્વિક કટોકટી દરમિયાન તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂરે સોશિયલ મીડિયા પર એક મોટો ખુલાસો કરતાં X પર પોસ્ટ કર્યું કે, ‘હોર્મુઝ સંકટને કારણે વૈશ્વિક શિપિંગની નજર હવે તેમના વિસ્તાર પર છે. હાલમાં તિરુવનંતપુરમ વિસ્તારમાં આવેલા વિઝિંજમ બંદર બહાર 100 કરતાં વધુ વહાણો લાઈનમાં ઊભા છે અને બર્થ (બંદર પર વહાણો ઊભા રહેવાની જગ્યા) મેળવવાની રાહ જોઈ રહ્યા છે. આ આંકડો દર્શાવે છે કે જહાજી વેપાર માટે વિશ્વની નજર હવે ભારત તરફ વળી છે.’
આ પણ વાંચો : નેતન્યાહુની ધરપકડ થશે? હંગેરીના નવા PMનો ધડાકો- ‘અમારા દેશમાં આવશે તો જેલભેગા કરીશું’
અનિશ્ચિત ‘પ્રોજેક્ટ’ બન્યો ‘વૈશ્વિક જરૂરિયાત’
થરૂરે તેમની પોસ્ટમાં વિઝિંજમ પોર્ટ વિશે લખ્યું છે કે, ‘જ્યારે મેં આ પોર્ટ માટે પહેલી વખત ટેન્ડર લાવવામાં મદદ કરી હતી, ત્યારે તે એક અનિશ્ચિત પ્રોજેક્ટ હતો. એક એવો પ્રોજેક્ટ જેને ઘણી શંકા અને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આજે દુનિયા વિશ્વસનીય પ્રવેશદ્વાર શોધી રહી છે, ત્યારે વિઝિંજમે તે જરૂરિયાતને પૂરી કરી છે. ભારતનું પહેલું ડીપવોટર ટ્રાન્સશિપમેન્ટ હબ હવે માત્ર એક પ્રોજેક્ટ નથી, પરંતુ ‘વૈશ્વિક જરૂરિયાત’ (Global Necessity) બની ગયું છે.’
61 વહાણો અને 10,00,000 TEUs હેન્ડલ કર્યા
થરૂરે જણાવ્યું છે કે માર્ચ 2026માં માત્ર એક મહિનામાં જ અહીં 61 વહાણોનું સંચાલન કરાયું હતું, જે એક રેકોર્ડ છે. અત્યાર સુધી આ બંદરે રેકોર્ડ સમયમાં 10,00,000 TEUs (ટ્વેન્ટી ફૂટ ઇક્વિવેલેન્ટ યુનિટ્સ) હેન્ડલ કરી લીધા છે. TEU એટલે 20 ફૂટ લાંબું કન્ટેઇનર, જે શિપિંગમાં માલની ગણતરીનું એકમ છે. હાલ આ પોર્ટના વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે. આ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે, પછી અહીં એક સાથે 5 મોટા વહાણ (Motherships) પાર્ક રાખી શકાશે.
વિઝિંજમ બંદર શા માટે છે ખાસ?
આ પોર્ટને ભારતની દરિયાઈ વ્યૂહરચનામાં ગેમ-ચેન્જર મનાય છે અને તે માટે કેટલાક મજબૂત કારણો છે.
• પહેલું ડીપવોટર ટ્રાન્સશિપમેન્ટ હબ (Deep-water Transshipment Hub): વિઝિંજામ ભારતનું પહેલું પોર્ટ છે, જે ઊંડા પાણીમાં બનાવાયું છે. તેની ઊંડાઈ આશરે 20 મીટર (લગભગ 66 ફૂટ) છે, જેને કારણે દુનિયાના સૌથી મોટા કાર્ગો શિપ પણ અહીં સરળતાથી આવી શકે છે.
• વ્યૂહાત્મક સ્થાન: આ બંદર આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટથી માત્ર 10 નોટિકલ માઈલ (લગભગ 18.5 કિમી)ના અંતરે છે. તેની તુલનામાં શ્રીલંકાનું કોલંબો પોર્ટ લગભગ 30 નોટિકલ માઈલ (લગભગ 55.5 કિમી) અને ભારતનું સૌથી મોટું પોર્ટ મુંદ્રા લગભગ 250 નોટિકલ માઈલ (લગભગ 462.5 કિમી) દૂર છે. આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટથી બંદરનું અંતર જેટલું ઓછું હોય, એટલો ઓછો સમય અને બળતણ જહાજોનો ખર્ચાય. આમ, વિઝિંજમ બંદરે લાંગરવું જહાજોને સસ્તું અને ઝડપી પડે છે.
• કિંમત અને ક્ષમતા: આ બંદરના પ્રથમ તબક્કાની નિર્માણ કિંમત ₹8,800 કરોડ છે. હાલમાં તેની ક્ષમતા 10,00,000 TEUs છે, જે સંપૂર્ણપણે તૈયાર થયા બાદ વધીને 62,00,000 TEUs સુધી પહોંચી જશે. બીજા તબક્કાની અંદાજિત નિર્માણ કિંમત ₹16,000 કરોડ છે. હાલમાં બર્થ (જેટી) લંબાઈ 800 મીટર છે, જે બીજા તબક્કાને અંતે 2,000 મીટરની થઈ જશે. બંદરનું નિર્માણકાર્ય 2028 સુધીમાં પૂરું કરી દેવાશે. તેનું સંચાલન અદાણી ગ્રૂપ અને કેરળ સરકાર દ્વારા સંયુક્ત રીતે કરાઈ રહ્યું છે.
આ પણ વાંચો : ઈરાનનો ખેલ ખતમ કરવા ખાડી દેશોએ શોધી કાઢ્યો નવો રસ્તો! તેલ પહોંચાડવા માટે હોર્મુઝની જરૂર નહીં રહે
વિદેશી બંદરો પરની નિર્ભરતા ઘટી
વિઝિંજમ પોર્ટની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેણે ભારતની વિદેશી પોર્ટ પરની નિર્ભરતા ઘટાડી છે. આ પહેલાં ભારત પાસે એવું કોઈ પોર્ટ નહોતું, જે મોટા વહાણોને સમાવી શકે. દુનિયાના મોટા વહાણો પહેલા કોલંબો (શ્રીલંકા) અથવા સિંગાપોરના પોર્ટ પર માલ ઉતારતા અને પછી તેને નાના વહાણો દ્વારા ભારત લવાતો હતો. આ પ્રક્રિયામાં ભારતને વધારાનો ખર્ચ અને સમય બંને લાગતા હતા. અંદાજે 75% ટ્રાન્સશિપમેન્ટ કાર્ગો વિદેશી બંદરો પર જ જતો હતો, જેના કારણે ભારત ઘણી આવક ગુમાવતું હતું. હવે, મોટા વહાણો સીધા વિઝિંજમ આવી શકે છે, જેનાથી દેશની લોજિસ્ટિક્સ સાંકળ મજબૂત બની છે.
એક નવા દરિયાઈ યુગનો આરંભ
હોર્મુઝની કટોકટી એ એક કમનસીબ ઘટના છે, પરંતુ તેણે વિઝિંજમ જેવા પ્રોજેક્ટના મહત્ત્વને સમજાવી દીધું છે. થરૂરે તેને બર્થ ઓફ મેરીટાઈમ જાયન્ટ (Birth of a Maritime Giant) ગણાવ્યું છે. આ પોર્ટ ફક્ત કોલંબો કે સિંગાપોર સાથે સ્પર્ધા જ નથી કરતું, પરંતુ નવા માપદંડ પણ સ્થાપિત કરી રહ્યું છે. જે પ્રોજેક્ટ એક સમયે સ્થાનિક વિરોધ અને રાજકીય શંકાઓનો સામનો કરી રહ્યો હતો, તે આજે સમગ્ર વિશ્વ માટે એક મહત્ત્વપૂર્ણ સહારો સાબિત થઈ રહ્યો છે.










