![]()
વડોદરા મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હાર મળતા હવે શહેર કોંગ્રેસમાં આંતરિક અસંતોષ સામે આવવા લાગ્યો છે. ૭૬ બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર છ બેઠકો મળતાં સંગઠનની કામગીરી સામે જ સવાલો ઊભા થયા છે. આ પરિસ્થિતિ માટે શહેર કોંગ્રેસ પ્રમુખને જવાબદાર ઠેરવી કોંગ્રેસના પ્રવક્તાએ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.
પોસ્ટમાં જણાવાયું છે કે, પ્રમુખે સંગઠન મજબૂત કરવાની જગ્યાએ ફક્ત સંગઠન તોડવાનું કામ કર્યું છે. તમામ ચૂંટણીઓમાં પ્રમુખ નિષ્ફળ રહ્યા હોવાનું કહી પુરાવા જાહેર કરવાની પણ ચીમકી આપી છે. સાથે જ કોઈ કાઢી મૂકે તેના કરતાં માનભેર ખુરશી છોડી દેવી જોઈએ તેવી ટિપ્પણી કરી છે.
પ્રવક્તા જયેન્દ્રસિંહે કહયું કે, ચૂંટણીમાં હાર બાદ કાર્યકરો અને જનતાને જવાબ આપવો ભારે પડી રહ્યો છે. ભાજપના બે ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા તે શહેર પ્રમુખની ભેદરકારીનું ઉદાહરણ છે. કોંગ્રેસ પ્રત્યે જનતાનો વિશ્વાસ ટકાવી રાખવા નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ.
વધુમાં કહ્યું કે સમગ્ર ચૂંટણી દરમિયાન શહેર પ્રમુખ કોઈ પણ વોર્ડમાં પ્રચાર માટે ગયા નહોતા. ટિકિટ ફાળવણી માં પણ પાયાના કાર્યકરોની અવગણના કરી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. શહેર કોંગ્રેસની હાલત અંગે પ્રદેશ તેમજ રાષ્ટ્રીય સ્તરે પણ રજૂઆત કરાઈ હોવાનું જણાવ્યું છે.










