![]()
– સિલ્વર પ્રોડકટના ફરજિયાત હોલમાર્કિંગનું પાલન કરાવવા અનુરોધ, જેથી ગ્રાહકોની સલામતિ જળવાઈ રહે
– ચાંદીની ચીજવસ્તુઓની કરાયેલી ચકાસણીમાં અસંખ્ય ચીજવસ્તુઓમાં લીડ, નિકલ જેવી પ્રતિબંધિત ધાતુઓનું મિશ્રણ કરાયું હોવાનું જોવા મળ્યું હોવાનો પણ દાવો કરાયો હતો
મુંબઈ : હાલમાં ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા હોવાથી તેનો લાભ ઉઠાવી લેવા અશુદ્ધ ચાંદીની ચીજવસ્તુઓ, સિક્કા અને લગડી મોટેપાયે ભારતીય બજારમાં ઘુસાડવામાં આવી રહ્યા હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું.સોના તથા ચાંદીની ઈન્વેસ્ટમેન્ટ માગ ઊંચી રહેતી હોવાથી બનાવટ કરનારાઓ તેનો હાલમાં લાભ ઉઠાવી રહ્યા છે. વૈશ્વિક અનિશ્ચિતતા તથા ઔદ્યોગિક માગને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં ચાંદીના ભાવ સતત વધી રહ્યાનું જોવા મળે છે. ૨૦૨૬ના પ્રારંભમાં ચાંદી પ્રતિ કિલો રૂપિયા ચાર લાખ સુધી જોવા મળી હતી.
બજારમાં મોટેપાયે અશુદ્ધ ચાંદી ફરતી હોવાનું ધ્યાનમાં રાખી ચાંદીના રિફાઈનરોએ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડસ (બીઆઈએસ)ને સિલ્વર પ્રોડકટસનું ફરજિયાત હોલમાર્કિંગનું પાલન કરાવવા અનુરોધ કર્યો છે, જેથી ગ્રાહકોની સલામતિ જળવાઈ રહે.
ચાંદીના વેપારમાં ગુણવત્તા અને વ્યાપક પારદર્શીતા જળવાઈ રહે તેની ખાતરી રાખવા રિફાઈનરો માટે ફરજિયાત લાયસન્સની પણ માગણી કરવામાં આવી હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું.
સિલ્વર હોલમાર્કિગ ગયા વર્ષના સપ્ટેમ્બરથી ફરજિયાત બનાવાયું હોવા છતાં મોટી સંખ્યાના જ્વેલર્સ તેનું પાલન કરતા નહીં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ભારતમાં વર્ષે ૭૦૦૦ ટન જેટલી ચાંદીનો વપરાશ થાય છે પરંતુ તેના હોલમાર્કિંગ માટે માત્ર ૨૮૬ જેટલા જ કેન્દ્રો છે, જ્યારે ગોલ્ડ માટે આશરે ૧૬૦૦ જેટલા કેન્દ્રોે છે. સોનાનો વાર્ષિક વપરાશ ૮૦૦ ટન આસપાસ રહે છે.
રિટેલ બજારમાં મોટી માત્રાના સિક્કા અને લગડીઓ એવા પ્રકારના છે જે હલકી ગુણવત્તાના અને બીઆઈએસ હોલમાર્કિંગ સર્ટિફિકેટ સાથે ૯૯૯ શુદ્ધતાના ધોરણનું પાલન વગરના હોય છે, એમ પ્રીસિયસ મેટલ્સ રિફાઈનરીસ ફોરમના સુત્રોએ દાવો કર્યો હતો.
ચાંદીની ચીજવસ્તુઓની કરાયેલી ચકાસણીમાં અસંખ્ય ચીજવસ્તુઓમાં લીડ, નિકલ જેવી પ્રતિબંધિત ધાતુઓનું મિશ્રણ કરાયું હોવાનું જોવા મળ્યું હોવાનો પણ દાવો કરાયો હતો.
ચાંદીની મોટાભાગની નવી જ્વેલરીમાં સ્ક્રેપ સિલ્વરનો વપરાશ થાય છે અને તેને પૂરતી રીતે રિફાઈનિંગ પણ કરાયેલી હોતી નથી.










