મુંબઈ : ૧લી એપ્રિલથી દેશમાં ઘઉંના ટ્રેડરો તથા પ્રોસેસર્સે દર સપ્તાહે ઘઉંનો સ્ટોકસ જાહેર કરવાનો રહેશે. હાલની સ્ટોક મર્યાદા ૩૧મી માર્ચના સમાપ્ત થશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ઘઉંની સંગ્રહખોરી અટકાવવાના ભાગરૂપ સરકારનો આ નિર્ણય આવી પડયો હોવાનું માનવામાં આવે છે.
ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા જણાવાયું છે કે, દેશમાં અન્ન સલામતિ જાળવવા અને સટ્ટાખોરી અટકાવવાના ભાગરૂપ સરકારે ટ્રેડરો, રિટેલરો, હોલસેલરો તથા પ્રોસેસરો માટે ૧લી એપ્રિલથી દર શુક્રવારે ઘઉંનો સ્ટોકસ જાહેર કરવાનું ફરજિયાત બનાવાયું છે.
ઘઉંની સ્ટોક લિમિટન ું ધોરણ દરેક માટે ૩૧મી માર્ચના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. સ્ટોકની સ્થિતિ ટ્રેડરોએ સરકારી પોર્ટલ પર જાહેર કરવાની રહેશે.
દેશમાં ઘઉંના ભાવમાં કૃત્રિમ ઉછાળો લાવવાના થતાં પ્રયાસો પર સરકાર સખત દેખરેખ રાખી રહી છે. દરમિયાન સરકારે દેશના વિવિધ રાજ્યોમાં રવી મોસમના ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે.
મુખ્ય રવી પાક ઘઉંની લણણી પહેલા જ દેશના કેટલાક વિસ્તારોમાં તાપમાન વધી જતા અને હળવા વરસાદને કારણે ઘઉંનું ઉત્પાદન નીચું ઊતરવાની શકયતા જોવાઈ રહી છે.
બીજી બાજુ સરકાર દ્વારા તાજેતરમાં ઘઉંના કરાયેલા ઓકશનમાં મોટાભાગનો માલ ઉપડી ગયો હતો. ઘઉંનું ઉત્પાદન નીચુ રહેવાની શકયતાએ ઓકશનમાં ઓફર ભાવમાં વધારો જોવા મળ્યો હતો, આ હકીકતને ધ્યાનમાં રાખી સરકાર ઘઉંના સ્ટોકસ પર નજર રાખી રહી છે.