Who will become the next Vice President: સંસદનું ચોમાસું સત્ર ગઈકાલે જ શરુ થયું અને પ્રથમ દિવસની કામગીરી બાદ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આરોગ્યનું કારણ આપીને રાજીનામું આપ્યું છે. જોકે વિપક્ષ તથા રાજકીય પંડિતોને આ વાત ગળે નથી ઉતરી રહી. જોકે હાલ તેમના ઉત્તરાધિકારીની શોધ શરૂ થઈ ગઈ છે. સત્તાધારી ભાજપના નેતૃત્વ હેઠળના NDA પાસે લોકસભા અને રાજ્યસભાના સભ્યો સહિતના ચૂંટણી મંડળમાં બહુમતી છે. ધનખડના રાજીનામા પછી, સૌથી મોટો પ્રશ્ન એ છે કે આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે?
હરિવંશ નારાયણ સિંહનું હાલ ઉપરાષ્ટ્રપતિના પદ માટે ચર્ચાઈ રહ્યું છે
જો ઉપરાષ્ટ્રપતિનું પદ રાજીનામા, મૃત્યુ, પદ પરથી હટાવવા અથવા અન્ય કોઈ કારણસર ખાલી પડે, તો ખાલી જગ્યા ભરવા માટે શક્ય તેટલી વહેલી તકે ચૂંટણી યોજાય છે. ભાજપ પાસે ઉપરાષ્ટ્રપતિના પદ માટે ઘણા નેતાઓ છે. જેમાં રાજ્યપાલ અથવા સંગઠનના અનુભવી નેતાઓ અથવા કેન્દ્રીય મંત્રીઓમાંથી કોઈપણને પસંદ કરી શકાય છે. જનતા દળ (યુનાઇટેડ) ના સાંસદ અને બિહાર રાજ્યથી રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહનું નામ હાલ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચર્ચાઈ રહ્યું છે.
હરિવંશ નારાયણ સિંહનો અત્યાર સુધીનો રાજકીય પ્રવાસ
હરિવંશ નારાયણ સિંહનો જન્મ 30 જૂન, 1956ના રોજ ઉત્તર પ્રદેશના બલિયામાં થયો હતો. તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી અને પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યું છે. તેઓ લાંબા સમય સુધી પત્રકારત્વમાં સક્રિય રહ્યા હતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન ચંદ્રશેખરના મીડિયા સલાહકાર પણ હતા. વર્ષ 2014માં, JDUએ તેમને રાજ્યસભામાં મોકલ્યા અને 2018માં તેમને રાજ્યસભાના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેઓ જેપી ચળવળ સાથે પણ સંકળાયેલા છે, જેના કારણે તેમની સ્વચ્છ અને વૈચારિક નેતાની છબી બની છે.
આ પણ વાંચો: કઈ બીમારીઓથી પીડાઈ રહ્યા છે જગદીપ ધનખડ? જેના કારણે છોડવું પડ્યું ઉપરાષ્ટ્રપતિ પદ
ભારતના બંધારણ મુજબ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 60 દિવસની અંદર થવી જરૂરી છે. લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદો મતદાન કરે છે, જેમાં સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ અપનાવવામાં આવે છે. હરિવંશ નારાયણ સિંહ સિવાય, રાજનાથ સિંહ, આરિફ મોહમ્મદ ખાન, મનોજ સિંહા જેવા અન્ય સંભવિત નામો પણ ચર્ચામાં છે. જોકે, અત્યાર સુધી કોઈ પણ પક્ષ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.