મહારાષ્ટમાં પ્રોજેક્ટનો વિરોધ કરતી એનજીઓની ટીકા
એનજીઓ દ્વારા કોર્ટ પાસે સૂચિત પ્રોજેક્ટ કેન્સલ કરવામાં આવે તેવો આદેશ જારી કરવાની દાદ માંગવામાં આવી હતી
નવી દિલ્હી: મહારાષ્ટ્રના ઇકો સેન્સિટિવ ઝોનમાં આવેલાં જાયકવાડી ડેમમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટનો વિરોધ કરનારી કહાર સમાજ પંચ કમિટિ નામની એનજીઓની અરજી નકારી કાઢી તેને આડે હાથે લતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે જો દરેક યોજનાનો વિરોધ કરવામાં આવશે તો દેશ પ્રગતિ કેવી રીતે કરશે? સુપ્રીમ કોર્ટે એનજીઓની આ અરજી કરવાની લાયકાત સામે સવાલ કરતાં જણાવ્યું હતું કે તમને કોણે પ્લાન્ટ કર્યા છે? તમને કોણ ભંડોળ પુરૂ પાડે છે? પર્યાવરણના રક્ષણ મામલે તમારો ભૂતકાળનો અનુભવ શો છે? સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે એમ લાગે છે કે જે કંપની ટેન્ડર મેળવવામાં નિષ્ફળ ગઇ છે તેણે તમને ભંડોળ પુરૂ પાડયું લાગે છે અને આ રીતે તે વાહિયાત કાનુની ખટલાઓ કરી તે પ્રોજેક્ટને અટકાવવાનો પ્રયાસ કરી રહી છે.
એનજીઓની અરજીને નકારી કાઢતાં ગયા વર્ષે ૯ સપ્ટેમ્બરે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની વેસ્ટર્ન ઝોન બેન્ચે જણાવ્યું હતું કે ઇકો સેન્સિટિવ ઝોનમાં આ પ્રકારની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકતો કોઇ કાયદો તે દર્શાવી શકે તેમ નથી. ગ્રીન ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારના ઉર્જા મંંત્રાલયનાનેશનલ થર્મલ પાવર કોર્પોરેશન-એનટીપીસી-ની માલિકીની કંપની ટેહરી હાયડ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા જાયકવાડી ડેમમાં ફલોટિંગ સોલર પ્રોજેક્ટ સ્થાપવા માટે ટેન્ડર બહાર પાડયા હતાં. સંભાજી નગર જિલ્લામાં જાયકવાડી ગામે આવેલાં ડેમમાં આ પ્રોજેક્ટ સ્થાપવામાં આવી રહ્યો હતો. એનજીઓ દ્વારા કોર્ટ પાસે આ સૂચિત પ્રોજેક્ટ કેન્સલ કરવામાં આવે તેવો આદેશ જારી કરવાની દાદ માંગવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટને એનજીટીના આદેશમાં કોઇ ફેરફાર કરવાની જરૂર જણાઇ નહોતી. બેન્ચે જણાવ્યું હતું કે તમે એક પણ યોજનાને ચાલવા દેતાં નથી. જો દરેક યોજનાનો વિરોધ કરવામાં આવશે તો દેશ પ્રગતિ કેવી રીતે કરશે? સોલર પાવર પ્રોજેક્ટ સામે પણ તમને સમસ્યા છે. એનજીઓ દ્વારા દલીલ કરવામાંઆવી હતી કે ફલોટિંગ સોલર પાવર પ્રોજેક્ટને કારણે ડેમના જળચરની જીવન પ્રણાલિને અસર થશે અને આ વિસ્તારના જીવવૈવિધ્યને કાયમી નુકશાન થશે.