Supreme Court : સુપ્રીમ કોર્ટે મોટર અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર યોજના બનાવવામાં વિલંબ બદલ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. આ ઉપરાંત કોર્ટે માર્ગ પરિવહન મંત્રાલયના સચિવને આ મામલે સ્પષ્ટતા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. ન્યાયાધીશ અભય એસ.ઓકા અને ઉજ્જલ ભુઈયાની બેન્ચે વાંધો વ્યક્ત છે કે, 8 જાન્યુઆરીએ આદેશ અપાયો છતાં કેન્દ્ર સરકાર દ્વારા આ સંદર્ભમાં કોઈ પાલન કરાયું નથી. બેન્ચે કહ્યું કે, ‘કેન્દ્ર સરકારને આપવામાં આવેલો સમય ગયા મહિને 15 માર્ચે સમાપ્ત થઈ ગયો છે. કેન્દ્ર સરકારે કોર્ટના આદેશની ગંભીર અવગણા કરી છે, સાથે જ ખૂબ જ ફાયદાકારક કાયદાના અમલીકરણમાં પણ બેદરકારી દાખવી છે.
હજુ સુધી આદેશનું પાલન કેમ કરવાનું આવ્યું નથી?
કોર્ટે કહ્યું કે, ‘અમે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સચિવને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થવા તેમજ અમે આપેલા આદેશનું પાલન કેમ કરવાનું આવ્યું નથી, તે જણાવવા આદેશ આપીએ છીએ. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી આવેલા એડિશનલ સોલિસિટર જનરલ વિક્રમજીત બેનરજીએ કહ્યું કે, તેઓ અવરોધોનો સામનો કરી રહ્યા છે.
‘તમારા સચિવને કહો, અહીં આવીને સ્પષ્ટતા આપે’
દલીલ પર નારાજગી વ્યક્ત કરતા બેંચે કહ્યું કે, ‘આ તમારો પોતાનો કાયદો છે. કેશલેશ સારવાર (Cashless Treatment)ની કોઈ સુવિધા ન હોવાથી, લોકો અકસ્માતોમાં જીવ ગુમાવી રહ્યા છે. આ સામાન્ય લોકોના ફાયદા માટેની સુવિધા છે. અમે તમને (સચિવ) નોટિસ મોકલી રહ્યા છીએ. અમે અવમાનના હેઠળ કાર્યવાહી કરીશું. તમે તમારા સચિવને કહો કે, તેઓ અહીં આવીને સ્પષ્ટતા આપે.’
આગામી સુનાવણી 28 એપ્રિલે
સુપ્રીમ કોર્ટે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સચિવને સ્પષ્ટ જવાબ આપવા માટે હાજર થવાનો આદેશ આપ્યો છે. આગામી સુનાવણી 28 એપ્રિલે હાથ ધરાશે. આ પહેલા કોર્ટે 8 જાન્યુઆરીએ હાથ ધરેલી સુનાવણીમાં કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે, તેઓ કાયદા હેઠળના સૌથી મહત્વપૂર્ણ સમય એટલે કે ગોલ્ડન અવર દરમિયાન મોટર અકસ્માત પીડિતોને કેશલેસ તબીબી સારવાર પૂરી પાડવાની યોજના પર કામ કરવું જોઈએ.
આ પણ વાંચો : એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શરમજનક હરકત, મુસાફરે ખાનગી કંપનીના મોટા અધિકારી પર કર્યો પેશાબ
કોર્ટે અગાઉ 14 માર્ચ સુધીમાં યોજના પૂરી પાડવાનો આદેશ આપ્યો હતો
સુપ્રીમ કોર્ટે મોટર વાહન અધિનિયમ, 1988 ની કલમ 162(2)નો ઉલ્લેખ કર્યો હતો અને અકસ્માતનો શિકાર બનેલા લોકોની વહેલીતકે સારવાર થઈ શકે તેમજ અનેક લોકોના જીવ બચી શકે તે માટે કેન્દ્ર સરકારને 14 માર્ચ સુધીમાં યોજના પૂરી પાડવાનો આદેશ આપ્યો હતો. મોટર વાહન અધિનિયમ, 1988 ની કલમ 162(2)માં ઉલ્લેખીત સૌથી મહત્ત્વનો સમય એટલે કે પ્રથમ કલાકને Golden Hour કહેવામાં આવે છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિ માટે એક કલાકનો સમયગાળો ખૂબ જ મહત્ત્વનો છે. જો ઈજાગ્રસ્તને સમયસર સારવાર મળી જાય તો મોતની સંભાવના ટાળી શકાય છે.
2024માં 1.80 લાખ લોકોના માર્ગ અકસ્માતમાં મોત
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ડેટા મુજબ 2024માં કુલ 1.80 લાખ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. જેમાં 30000 લોકોના મોત હેલમેટ ન પહેરવાના કારણે થયા છે. ઉલ્લેખનીય છે, આ મૃતકોમાં 66 ટકા લોકો 18થી 34 વર્ષનો યુવા વર્ગ હતો. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા મુજબ, શાળાઓ અને કોલેજોમાં યોગ્ય રીતે એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટની વ્યવસ્થા ન હોવાથી 2024માં આશરે 10 હજાર બાળકોએ જીવ ગુમાવ્યા છે. શાળાઓની ઓટો રિક્ષા અને મીની બસ માટે નિયમો હોવા છતાં તેના અનુપાલનના અભાવે બાળકો પણ દુર્ઘટનાઓનો ભોગ બની રહ્યા છે. અમે તમામ ખામીઓને ધ્યાનમાં લઈ તેને ઘટાડવા પ્રયાસ કરીશું. માર્ગ અકસ્માતની ઘટનાઓ ઘટાડવા માટે સૌએ એકજૂટ થઈ પ્રયાસ કરવો પડશે.
આ પણ વાંચો : ઓ…કાકા…. મૂત્રાલય નહીં મંત્રાલય લખ્યું છે!! સોશિયલ મીડિયા પર દિલ્હીનો VIDEO વાયરલ