Narmada Uttarvahini Parikrama: નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી ઘાટ પર 29મી માર્ચથી નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાની શરૂઆત થઇ હતી, જે 27મી એપ્રિલ સુધી ચાલશે. ત્યારે શનિવાર (12મી એપ્રિલ) અને રવિવાર (13મી એપ્રિલ)ની રજા હાવાથી નર્મદા પરિક્રમાના રસ્તે માનવ મહેરામણ ઊમટી પડ્યું છે. ડભોઈ, તિલકવાડાના નાકે અને રાજપીપળા તરફ બે કિલોમીટર સુધીની વાહનોની લાંબી કતાર લાગી હતી. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા રસ્તાઓ બંધ કરી દેવાયા છે.
નર્મદા ઉતરવાહિની પરિક્રમામાં કીડીયારું ઉભરાયું
રાજ્યમાં શુક્રવારથી સોમવાર સુધી રજા હાવાથી નર્મદા ઉત્તરવાહીની પરિક્રમા માટે શ્રદ્ધાળુઓઓ ઊમટી પડ્યા છે. ભક્તો ભારે ભીડના કારણે રામપુરા કીડી મકોડી ઘાટ જવા માટે રાત્રિથી જ રસ્તાઓ બંધ કરી દેવા પડ્યા હતા. જેથી હજારો પરિક્રમાવાસીઓ પરિક્રમા કર્યા વગર પરત ફર્યા હતા. નોંધનીય છે કે, આ વર્ષે તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થાઓ સારી કરવામાં આવી છે. પરંતુ અચાનક શ્રદ્ધાળુઓની સંખ્યા વધી જતા વ્યવસ્થાઓ ઓછી પડી હતી.
ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બસ સેવાની માગ કરાઈ છે. રેંગણ ઘાટ ખાતેથી પરિક્રમાવાસીઓને નદીની સામે પાર લઈ જવા માટે નાવડીઓ ઓછી પડી છે. જેથી રેંગણ ઘાટ પર ભીડ વધી જતાં ભીડ ઓછી કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની 13 મિની બસ સેવામાં મૂકાઈ છે.
આ પણ વાંચો: વિરમગામમાં 100થી વધુ લોકો પર મધમાખીઓનો હુમલો, 20થી વધુ સારવાર હેઠળ
નર્મદા પરિક્રમા કીડી મકોડી ઘાટથી શરુ થાય છે
શિવપુત્રી તરીકે ઓળખાતી પવિત્ર નર્મદા નદીની પરિક્રમામાં પૂર્ણ પરિક્રમા જેટલું જ ધાર્મિક મહત્ત્વ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું છે. જે 21 કિ.મી.ની જ પરિક્રમા થાય છે. નર્મદા નદીની પરિક્રમા રામપુરા ગામના કીડી મકોડી ઘાટથી શરુ થાય છે. ત્યારબાદ આગળ વધતા તિલકવાડા પાસે નદીના કિનારાની જગ્યાએથી નાવડીમાં બેસી નદી પાર કરી સામે કિનારે જઈ પાછું નાવડીમાં આવવાનું હોય છે. એટલે પરિક્રમા કરતી વખતે બે વખત નર્મદા નદીને પાર કરવાની રહે છે. આ ઉપરાંત પરિક્રમાને ધ્યાનમાં રાખીને હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે જેટી તૈયાર કરવામાં આવી છે.