![]()
જામનગર,મોરબી પંથકમાં આપઘાતના છ બનાવ
જામનગરમાં ગેસ્ટહાઉસમાં ઝારખંડના યુવાનનો આપઘાતઃ યુવતી, બે પરિણીતા અને યુવાનનો ગળાફાંસો, પાંચેય બનાવમાં કારણ અંગે તપાસ
જામનગર ,મોરબી: ધ્રોલ તાલુકાના લતીપર ગામે ૨૫ વર્ષીય ખેડૂત યુવાનને દારૂની લત હોવાથી તે નશાની હાલતમાં ઘરે આવતા તે અંગે તેના પિતાએ ઠપકો આપ્યો હતો, તેથી મનમાં લાગી આવતા વાડીએ જઇ ઝેરી ટીકડા ખાઈ લેતાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે જામનગરના ગેસ્ટહાઉસમાં ઝારખંડના યુવાને આપઘાત કરી લેતા તપાસ હાથ ધરાઇ છે. આ ઉપરાંત અન્ય ૪ આપઘાતના બનાવ નોંધાયા છે.
લતીપર ગામે રહેતા ભાર્ગવ ભાણજીભાઈ તાલપરા નામના ૨૫ વર્ષીય યુવાનને દારૂ પીવાની લત હતી. તે દારૂના નશામાં ઘરે આવતા તેના પિતાએ દારૂ પીવાની આદત અંગે ઠપકો આપતા મનમાં લાગી આવવાથી વાડીએ જઇ ઝેરી ટીકડા ખાઇ લેતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
જામનગરના કે.વી. રોડ વિસ્તારમાં આવેલા શ્રીજી ગેસ્ટ હાઉસમાં રોકાયેલા ઝારખંડના રાહુલકુમારસિંહ નકુલસિંહ નામના ૨૩ વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતક સરકારી શાળાઓમાં લેબોરેટરી સંબંધિત કામગીરી માટે જામનગર આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતી સાહિદા હુસેનભાઈ થઇમ નામની ૨૪ વર્ષીય અપરિણીત યુવતીએ પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે ઇન્દિરા કોલોની વિસ્તારમાં રહેતી હંસાબેન મનસુખભાઈ ગોહિલ નામની ૪૩ વર્ષીય પરિણીત મહિલાએ પણ કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
મોરબીના નવા જાંબુડિયા ગામે રહેતા શીતલબેન કાન્તીભાઈ ફીસડીયા (ઉ.વ.૧૯) નામની પરિણીતા દસેક માસથી પિતાના ઘરે રિસામણે હોય અને પિતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મૃતકનો લગ્નગાળો ૧ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે. મોરબીના સાપર ગામની સીમમાં આવેલ અમુલ મિનરલ્સ કારખાનામાં કામ કરતા વિક્રમભાઈ અબુભાઈ નીનામા (ઉ.વ.૨૧) નામના યુવાને કોઈ કારણોસર લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ લેતા મોત થયું છે. પાંચેય બનાવમાં પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે.










