Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટે રાજયના હજારો નિવૃત્ત સરકારી કર્મચારીઓને અસર કરતાં અને બહુ મોટા ઐતિહાસિક ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, જનરલ પ્રોવીડન્ટ ફંડ(GPF)ના લાભો માત્ર પહેલી એપ્રીલ 1982 પછીની નોકરીની સેવાના સમયગાળા માટે જ લાગુ પડશે. એટલે કે, સરકારે લાગુ કરેલી યોજના મુજબ જ જીપીએફના લાભો પહેલી એપ્રીલ 1982 પછીની સેવા માટે જ મળી શકે, તે પહેલાંના સમયગાળા માટે નહી. જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ નિશા એમ.ઠાકોરની ખંડપીઠે નિવૃત્ત કર્મચારીઓને તેમની મૂળ ભરતી(નિમણૂંક) તારીખથી જીપીએફના લાભો આપવા અંગેના સીંગલ જજના હુકમને અયોગ્ય અને રદબાતલ ઠરાવ્યો હતો. હાઇકોર્ટના આ ચુકાદાને પગલે રાજ્ય સરકારના હજારો નિવૃત્ત કર્મચારીઓને અસર થશે.
સરકારનો 600 કરોડો રૂપિયાથી વધુનો આર્થિક બોજો ઘટશે
ગુજરાત સરકાર દ્વારા કરાયેલી લેટર્સ પેટન્ટ અપીલ મંજૂર રાખતા હાઇકોર્ટે આ બહુ મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. નિવૃત્ત કર્મચારીઓને તેમની સંપૂર્ણ નોકરી દરમિયાન જનરલ પ્રોવીડન્ટ ફંડ(જીપીએફ)નો લાભ આપવા અંગેના એટલે કે, નિમણૂંક તારીખથી સળંગ નોકરી ગણી જીપીએફના લાભો આપવા અંગેના સિંગલ જજના હુકમને પડકારતી રાજ્ય સરકારની અપીલમાં હાઇકોર્ટ સમક્ષ બહુ મોટો કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. જેમાં હજારો નિવૃત્ત સરકારી કર્મચારીઓ જેઓ મોટાભાગે વર્ષ 2006 પહેલાં નિવૃત્ત થયા હતા, તેઓ તેમની મૂળ ભરતી(નિમણૂંક)ની તારીખથી જીપીએફના લાભો મેળવવા હકદાર ગણી શકાય કે નહીં?
આ પણ વાંચો: ઇલોન મસ્કે X પ્લેટફોર્મ 33 અબજ ડોલરમાં વેચી નાંખ્યું, 2 વર્ષ પહેલાં 44 અબજ ડોલરમાં ખરીદ્યું હતું
કોર્ટનું એ મુદ્દે ખાસ ધ્યાન દોર્યું હતું કે, ઘણાં કર્મચારીઓએ 1982 પછી પ્રમોશન મળતાં તેઓએ તેમની નવી નિમણૂંક ગણવા માંગણી કરી હતી અને સરકારના ઠરાવની જોગવાઇનો લાભ મેળવી જીપીએફ યોજનામાં પ્રવેશ મેળવ્યો હતો. હવે આટલા વર્ષો પછી આ જ કર્મચારીઅઓ તેમનું વલણ બદલી એમ કહી રહ્યા છે કે,તેઓ પોતાની નોકરીની સેવાઓ શરૂઆતથી એટલે કે,નિમણૂંક તારીખથી જીપીએએફ હેઠળ ગણવા માંગે છે. જેમાં કેટલીક નોકરીઓની નિમણૂંક તારીખ તો છેક 1965 સુધી જાય છે. આ સંજોગોમાં નિવૃત્ત કર્મચારીઓની માંગણી અને પરિસ્થિતિ બિલકુલ વિરોધાભાસી, અન્યાયી અને ગેરવાજબી છે.
નિષ્ણાતો મતે, ગુજરાત હાઈકોર્ટના આ ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ચુકાદાને પગલે રાજ્યની જાહેર તિજોરીના આશરે 600 કરોડ રૂપિયાથી વધુ રકમ બચશે. હાઈકોર્ટના આ ચુકાદાને પગલે સરકારના માથેથી બહુ મોટો આર્થિક બોજો ટળ્યો છે.
દ્વિધાભરી પરિસ્થિતિના નિરાકરણમાં વર્ષ 2015ના ચુકાદાનો આધાર લેવાયો
સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ ગુરશરણસિંહ વિર્કએ આ કેસમાં ઉભી થયેલી દ્વિધાભરી પરિસ્થિતિના ઉકેલના ભાગરૂપે વર્ષ 2015ના હાઈકોર્ટના એક ચુકાદાને ટાંક્યો હતો. જણાવ્યું હતું કે, ‘નિવૃત્ત કર્મચારીઓની માંગણી મુજબ, એક તરફથી તેમના પ્રમોશનને નવી નિમણૂંક માનવી અને બીજી તરફ સંપૂર્ણ સેવા અવધિ માટે પાછળથી જીપીએફનો લાભ માંગવો આ જટિલ પ્રશ્નનું નિરાકરણ 2015ના ચુકાદામાં પહેલેથી જ સ્પષ્ટ કરી દેવાયું છે. જીપીએફનો લાભ માત્ર 1982 પછીની નોકરીની સેવાઓ માટે ઉપલબ્ધ છે. જ્યારે તે પહેલાના સમયગાળાની નોકરીની સેવાઓ માત્ર પેન્શનની ગણતરી માટે ધ્યાનમાં લઈ શકાય. જે નિવૃત્ત કર્મચારીઓ પહેલાં જે આધાર પર જીપીએફના લાભ મેળવવા પાત્રતા કેળવી હતી, તે હવે તેમણે પસંદ કરેલા વિકલ્પનો અસ્વીકાર કરવા માંગે છે. હવે પોતાની નિમણૂંક તારીખથી જીપીએફ લાભ મેળવવા માંગે છે, જે અશકય અને કુદરતી ન્યાયના સિઘ્ધાંત વિરૂઘ્ધનું છે.